સુરત ભાજપકાર્યાલય પરથી 5,000 રેમડેસિવિર ઇન્જેક્શનનું સુરતના પ્રજાને વિતરણ કરવામાં આવ્યું હતું. ઇન્જેક્શન ક્યાંથી આવ્યા ? આ પ્રશ્નને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.આ હિતની અરજીમાં હાઈકોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ, ડ્રગ્સ એન્ડ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્ય હર્ષ સંઘવી ઉપરાંત સુરત જિલ્લા કલેકટર અને સુરત શહેર પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે. તેમજ આ નોટિસનો બે સપ્તાહમાં જવાબ રજૂ કરવા માટેનો હુકમ કર્યો છે.
તમારી સામે કાયદેસરની કાર્યવાહી શા માટે ન કરવી ?,સી આર પાટીલ અને હર્ષ સંઘવીને ખુલાસો કરવા માટે આદેશ
એટલું જ નહીં અરજદાર તરફથી કરવામાં આવેલી રજૂઆત પ્રત્યે શું કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમજ ભારત સરકારના આદેશનું ગુજરાતમાં પાલન કરવા માટે શું કરવામાં આવ્યું તેનો જવાબ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. તેમજ તમારી સામે કાયદેસરની કાર્યવાહી શા માટે ન કરવી ? તે અંગે સી આર પાટીલ અને હર્ષ સંઘવીને ખુલાસો કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
આ કૃત્ય ભલે લોકોની ભલાઈ માટે કરવામાં આવ્યું હોય પરંતુ કાયદો તેનો સ્વીકાર કરતો નથી :પરેશ ધાનાણી
સુરત ભાજપના કાર્યાલય પર થી 5000 ઇન્જેક્શનનું વિતરણ કરવા અંગે અરજદાર વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી હાઇકોર્ટમાં જાહેરહિતની રિટ અરજી કરી હતી. જેમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં અને રાજ્યમાં રેલ્વે રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત હતી. ત્યારે પોતાના ખર્ચે ખરીદી કરી તેને મફતમાં વિતરણ કર્યું હોય તો, આ કૃત્ય ભલે લોકોની ભલાઈ માટે કરવામાં આવ્યું હોય પરંતુ કાયદો તેનો સ્વીકાર કરતો નથી.
આ કૃત્ય ગેરકાયદેસર,ત્રણ વર્ષની સજાની જોગવાઈ : અરજદાર વતી એડવોકેટ આનંદ યાજ્ઞિક
અરજદાર વતી એડવોકેટ આનંદ યાજ્ઞિકે એવી રજૂઆત કરી હતી કે ફાર્મસી એટની કલમ-43 અને ડ્રગ્સ એક્ટ કોસ્મેટિક એક્ટ ની કલમ હેઠળ આ કૃત્ય ગેરકાયદેસર છે. જેમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે આ અંગે અરજદારે ફૂડ એન્ડ ડ્રગ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ તેમના તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. સદવિચાર જેવી સામાજિક સંસ્થા છે વર્ષોથી બીમાર માણસો ની સેવા કરે છે તે પણ દવા આપી શકતી નથી. આના કારણે લોકોના જીવને જોખમ રહે છે.
રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના કારણે એક્સપોર્ટ કરવાનું બંધ
ભારત સરકારના જણાવ્યા પ્રમાણે રેમડેસિવિર ઇન્જેક્શનની અછતના કારણે એક્સપોર્ટ કરવાનું બંધ કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો માં કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સરકાર સિવાય ઇન્જેક્શન ભેગા કરી શકશે નહીં કરવામાં આવે તો તેની સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો હતો. જેના પગલે અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઇ હાઈકોર્ટે સતાધીશોને આ નોટિસ ફટકારી હતી.