Surat 65 Year Old Man Exam: કહેવાય છે કે જ્ઞાન મેળવવાની ભૂખ ક્યારેય ઘરડી નથી થતી. આ કહેવતને સુરતના 65 વર્ષીય વૃદ્ધે અક્ષરશઃ સાચી પાડી બતાવી છે. સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા સંકુલમાં જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે તેમની વચ્ચે બેસીને એક દાદાએ પણ પેન ચલાવીને સૌને અચંબામાં મૂકી દીધા હતા.
નિવૃત્તિની ઉંમરે, 65 વર્ષના બંડારી ઉપ્પલૈયા પુલ્લૈયા નામના આ દાદાએ ‘ગુજરાતી’ વિષયની પરીક્ષા આપીને સાબિત કર્યું છે કે મક્કમ નિર્ધાર હોય તો ઉંમર ક્યારેય આડે આવતી નથી. આજે આ દાદા આખા શહેર અને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
કોણ છે ઉપ્પલૈયા દાદા? વર્ષો જૂનું સપનું કર્યું પૂરું
વર્ષો પહેલાં ઘરની આર્થિક પરિસ્થિતિ અને કૌટુંબિક જવાબદારીઓના બોજા હેઠળ બંડારી ઉપ્પલૈયાનું ભણતર અધવચ્ચે જ છૂટી ગયું હતું. જીવનની ભાગદોડમાં તેઓ ભણી તો ન શક્યા, પરંતુ તેમના મનમાં હંમેશા એક વસવસો અને ઈચ્છા રહ્યા કરતી હતી કે તેઓ વિધિવત રીતે અભ્યાસ પૂરો કરે. ખાસ કરીને તેઓ જે કર્મભૂમિ (ગુજરાત) પર રહે છે, તે માતૃભાષા ‘ગુજરાતી’ માં તેઓ મહારત હાંસલ કરવા માંગતા હતા. બસ, આ જ અતૂટ શ્રદ્ધા સાથે તેમણે ૬૫ વર્ષની ઉંમરે ફરી એકવાર હાથમાં કલમ પકડી અને પરીક્ષા આપવાનો નિર્ધાર કર્યો.
Surat પરીક્ષા ખંડનો એ અનોખો નજારો!
પરીક્ષાના દિવસે સરસ્વતી વિદ્યા સંકુલમાં એક અનોખું જ દ્રશ્ય સર્જાયું હતું. જ્યાં એક તરફ નાના વિદ્યાર્થીઓ પોતાના પેપર લખવામાં મગ્ન હતા, ત્યાં બીજી તરફ એક બેન્ચ પર ઉપ્પલૈયા દાદા એકદમ શાંતિથી અને પૂરા આત્મવિશ્વાસ સાથે ગુજરાતી વિષયનું પેપર લખી રહ્યા હતા.
૬૫ વર્ષની ઉંમરે નવી ભાષાનું વ્યાકરણ અને સાહિત્ય શીખીને તેના જવાબો લખવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. તેમનો આ જુસ્સો અને ધગશ જોઈને શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈ પટેલ, સંચાલક ભરતભાઈ અને સમગ્ર સ્ટાફ પણ દંગ રહી ગયો હતો. શિક્ષકોએ પણ દાદાને આ સફરમાં પૂરતું માર્ગદર્શન આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

‘જો દાદા ભણી શકે, તો અમે કેમ નહીં?’
આ ઘટનાની સૌથી મોટી અને હકારાત્મક અસર શાળાના યુવા વિદ્યાર્થીઓ પર પડી છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા (Exam) ના ટેન્શનથી ગભરાઈ જાય છે અથવા નાની નિષ્ફળતા મળતા હતાશ થઈ જાય છે, તેમના માટે આ દાદા એક જીવતું-જાગતું ઉદાહરણ બની ગયા છે.
વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, “ઘણીવાર અમે ભણતરના બોજથી હારી જઈએ છીએ, પણ આજે ૬૫ વર્ષના દાદાને પરીક્ષા આપતા જોઈને અમને સમજાયું કે જો તેઓ આ ઉંમરે આવો જુસ્સો બતાવી શકે છે, તો અમે કેમ નહીં?”
સમાજ માટે એક મજબૂત સંદેશ
બંડારી ઉપ્પલૈયા પુલ્લૈયાએ માત્ર એક પેપર નથી આપ્યું, પરંતુ સમાજના એવા દરેક વ્યક્તિના ગાલ પર તમાચો માર્યો છે જેઓ ‘ઉંમર થઈ ગઈ’ નું બહાનું કાઢીને નવું શીખવાનું બંધ કરી દે છે. શિક્ષણ એ માત્ર ડીગ્રી મેળવવા કે નોકરી માટે નથી, તે વ્યક્તિત્વના વિકાસ અને આત્મસંતોષ માટે પણ એટલું જ જરૂરી છે. સુરતના આ પ્રેરણાદાયક કિસ્સાને સોશિયલ મીડિયા પર લોકો સલામ કરી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં ફેમિલી કોર્ટમાં મહિલા પર એસિડ એટેક
આ પણ વાંચો: સુરતમાં ભેળસેળીયું ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, બેની ધરપકડ
આ પણ વાંચો: ગુજરાતમાં ભેળસેળિયાઓનું હવે આવી બનશે! સુરતમાં 50 કરોડના ખર્ચે બનશે હાઈ-ટેક ‘ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી’
