Haryana News: હરિયાણાના નૂંહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના નૂંહ જિલ્લાના તાવડુ સબડિવિઝન પાસે પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર બની હતી. બસમાં લગભગ 60 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 8 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના રાત્રે લગભગ 1.30 વાગે બની હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે તેમજ ઈજાગ્રસ્તોને સારવાર હેતુ હોસ્પિટલમાં ખસેડાયાં છે. માહિતી મુજબ વધુ એક ઘાયલ વ્યક્તિનું મોત નિપજતાં મૃત્યુઆંક 9 થયો છે.
ટૂરિસ્ટ બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા નીકળ્યા હતા અને વારાણસી અને વૃંદાવનથી પરત ફરી રહ્યા હતા. બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી, ફાયર બ્રિગેડ આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ તે પહેલા જ સ્થાનિક લોકોએ આવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનો અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમતથી આગને કાબૂમાં લીધી હતી. અકસ્માતનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોએ જણાવ્યું કે, પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી હતી. આગની જ્વાળા ફાટી નીકળી ત્યારે બસનો પીછો કરી જાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. બસને રોકવા માટે પણ કહ્યું હતું. ડ્રાઈવરને આગની જાણ થતાં બસને રોકી હતી. પરંતુ ત્યાં સુધીમાં બસમાં સવાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી 8 મુસાફરોના મોત થયા હતા. આ પછી તાવડુ સદર પોલીસ સ્ટેશને એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલોને હોસ્પિટલ મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી, રાહત મળવાની સંભાવના
આ પણ વાંચો: PM મોદી આજે તેમના મત વિસ્તાર વારાણસીમાં કરશે ધુંઆધાર પ્રચાર
આ પણ વાંચો: સોનિયા ગાંધીનો મતદાતાઓને સંદેશ, કોંગ્રેસની ‘મહાલક્ષ્મી’ યોજના બદલશે મહિલાઓનું જીવન