Dhurandhar Film Controversy : બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહેલી એક્ટર રણવીર સિંહ અને ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar) છેલ્લા કેટલાક સમયથી વિવાદોના વમળમાં ફસાઈ હતી. ફિલ્મના એક ડાયલોગમાં બલોચ સમાજ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને પગલે ગુજરાતમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. જોકે, હવે ગુજરાત હાઈકોર્ટ અને કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ આ વિવાદનો અંત આવ્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar)માં અભિનેતા સંજય દત્ત દ્વારા ભજવવામાં આવેલા પાત્રના એક ડાયલોગમાં ‘બલોચ’ સમાજ માટે અમુક અછાજતા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ડાયલોગને કારણે બલોચ સમાજની લાગણી દુભાઈ હતી અને સમગ્ર ગુજરાતમાં સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સમાજનું કહેવું હતું કે પાત્ર અને વાર્તા ગમે તે હોય, પરંતુ કોઈ આખા સમાજ માટે અપમાનજનક શબ્દો વાપરી શકાય નહીં.
ગુજરાત હાઈકોર્ટે લાવ્યો ઉકેલ
વિવાદિત શબ્દને દૂર કરવા માટે બલોચ સમાજ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે હાઈકોર્ટે ગંભીરતા દાખવી અરજીનો નિકાલ કર્યો છે. જાણવા મળ્યા મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા પણ આ ડાયલોગ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે ફિલ્મ નિર્માતાઓએ વિવાદિત ડાયલોગ અને શબ્દને ફિલ્મમાંથી હટાવી દીધા છે.

થિયેટરોમાં હવે નવો ફેરફાર જોવા મળશે
હવે જો તમે થિયેટરમાં ‘ધુરંધર’ જોવા જશો, તો તમને તે અપમાનજનક ટિપ્પણી વાળો ડાયલોગ સાંભળવા મળશે નહીં. બલોચ સમાજની માંગણી સંતોષાયા બાદ હવે વિરોધ શાંત પડ્યો છે.
માર્ચમાં આવશે Dhurandhar ફિલ્મનો બીજો ભાગ
ઉલ્લેખનીય છે કે, વિવાદો છતાં ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર મસમોટી કમાણી કરી રહી છે. રણવીર સિંહ અને સંજય દત્તની એક્શન પ્રેક્ષકોને પસંદ આવી રહી છે. આ સફળતાને જોતા નિર્માતાઓએ જાહેરાત કરી છે કે ફિલ્મનો બીજો ભાગ આ જ વર્ષે માર્ચ મહિનામાં રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં ‘ધુરંધર’ ફિલ્મ સામે અરજી, ડાયલોગ હટાવવાની માંગ
આ પણ વાંચો: ઈદ 2026 પર આવશે ‘ધુરંધર 2’, પાંચ ભાષાઓમાં પેન-ઈન્ડિયા રિલીઝ
આ પણ વાંચો: ‘ધુરંધર’ ફિલ્મમાં અક્ષય ખન્નાના એન્ટ્રીસોન્ગ Fa9la ના દર્શકો બન્યા ક્રેઝી…!!
