National Voters Day 2026: લોકશાહીના પર્વને ગૌરવપૂર્ણ રીતે ઉજવવાના હેતુથી અમદાવાદ જિલ્લામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ બિલ્ડિંગ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.
“ભારતીય બંધારણે મહિલાઓને શરૂઆતથી જ આપ્યો સમાન મતાધિકાર”
કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટરે ભારતની લોકશાહીની મજબૂતી પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વિશ્વના ઘણા વિકસિત દેશોમાં મહિલાઓએ મતાધિકાર મેળવવા માટે લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેની સરખામણીએ ભારતના બંધારણે આઝાદીના પ્રારંભથી જ તમામ નાગરિકોને, જાતિ કે લિંગના ભેદભાવ વગર સમાન મતાધિકાર આપીને એક આદર્શ સ્થાપિત કર્યો છે.

લોભ-લાલચ વગર નિર્ભય બની કરો મતદાન
યુવા પેઢીને પ્રોત્સાહિત કરતા કલેક્ટરે ઉમેર્યું કે, મતાધિકાર એ માત્ર હક્ક નથી પણ દેશના ભવિષ્યને આકાર આપવાની પવિત્ર ફરજ છે. તેમણે અપીલ કરી હતી કે માત્ર મતદાર તરીકે નામ નોંધાવવું પૂરતું નથી, પરંતુ કોઈપણ લોભ, લાલચ કે દબાણ વગર જવાબદાર નાગરિક તરીકે મતદાન કરવું જોઈએ.
નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મયોગીઓનું સન્માન
આ વર્ષની થીમ “મારું ભારત, મારો મત” અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં મતદાર યાદી સુધારણા (SIR) અને ચૂંટણી પ્રક્રિયામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર BLO (બી.એલ.ઓ.) તેમજ અન્ય અધિકારીઓ-કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

National Voters Day: કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓ
સુલભ લોકશાહીના ભાગરૂપે “No Voter to be Left Behind” ના મંત્ર સાથે દિવ્યાંગો માટે પણ વિશેષ સુવિધાઓની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત, ચૂંટણી પ્રક્રિયામાં વધતી પારદર્શિતા અને ટેકનોલોજીના ઉપયોગથી લોકોનો વિશ્વાસ વધ્યો હોવાનું જણાવાયું છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકો અને અધિકારીઓએ લોકશાહીને મજબૂત બનાવવા માટે સામૂહિક રીતે ‘મતદાર શપથ’ લીધા હતા.
આ પ્રસંગે ધંધુકા મદદનીશ કલેક્ટર વિદ્યાસાગર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:PM મોદી આજે મન કી બાતના 119મા એપિસોડને સંબોધશે, જાણો અપડેટ
આ પણ વાંચો:સ્પેસ સાયન્સ, AIથી લઈને હેલ્થ ટીપ્સ સુધી… PM મોદીએ મન કી બાતમાં શું કહ્યું?
આ પણ વાંચો:વર્ષ 2025ની પહેલી મન કી બાત, નાગરિકો સાથે કરશે સંવાદ
