Ahmedabad Teen Darwaza Merchants Protest: અમદાવાદ શહેરના ઐતિહાસિક ત્રણ દરવાજાથી પાનકોરનાકા વિસ્તારમાં આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. પોતાની જ રજૂઆત સામે તંત્રની ઉંધી કાર્યવાહીથી નારાજ થયેલા વેપારીઓએ દુકાનોના શટર પાડી દઈ તંત્ર સામે બાંયો ચઢાવી હતી. ‘પાર્કિંગના બોર્ડ હોવા છતાં વાહનો કેમ ઉપાડ્યા?’ તેવા સવાલો સાથે વેપારીઓએ પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી હતી.

શુ છે સમગ્ર વિવાદ?
ત્રણ દરવાજાથી પાનકોરનાકા સુધીના રોડ પર ગેરકાયદે પાથરણાંવાળાઓના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ અંગે સ્થાનિક વેપારીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસને ફરિયાદ કરી હતી કે પાથરણાંવાળાઓને કારણે ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી. આ ફરિયાદના પગલે આજે 27 જાન્યુઆરીના રોજ તંત્ર દબાણ હટાવવા તો આવ્યું, પરંતુ પાથરણાંવાળાઓની સાથે સાથે પોલીસે દુકાનદારોના પાર્ક કરેલા વાહનો પણ ઉપાડવાનું શરૂ કર્યું હતું.

‘તંત્રની ઉંધી કાર્યવાહી’ – વેપારીઓમાં રોષ
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, દુકાનોની બહાર AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા સત્તાવાર પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં, પોલીસે ટ્રાફિકનું બહાનું ધરીને વેપારીઓના વાહનો ઉપાડી લીધા હતા. જ્યારે આ બાબતે વેપારીઓ કારંજ પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચ્યા, ત્યારે ત્યાંના PI (પોલીસ ઇન્સ્પેક્ટર) દ્વારા “ત્યાં પાર્કિંગ નથી, તમે પુરાવા લાવો” તેવું કહીને દલીલ કરવામાં આવતા મામલો ગરમાયો હતો.

Ahmedabad: 70 વર્ષ જૂના વેપાર પર સંકટ
વેપારીઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 7 દાયકાથી અહીં ધંધો કરે છે અને ત્યાં સત્તાવાર પાર્કિંગની વ્યવસ્થા છે. તંત્ર દબાણ હટાવવાના નામે વેપારીઓને જ પરેશાન કરી રહ્યું હોવાનો આક્ષેપ સાથે તમામ દુકાનદારોએ કામકાજ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હવે આ મામલે વેપારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો:ચંડોળા તળાવ ડિમોલેશન મામલામાં લલ્લા બિહારીના પુત્ર ફતેહના 5 દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો:ચંડોળા તળાવ મેગા ડિમોલીશન : તળાવને ઉંડુ કરવા 100 ટ્રકો દ્વારા કાટમાળ હટાવાવાનું કામ શરૂ
