Mahesana News: ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં કડી ખાતે વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સંત બાલકનાથજી બાપુએ હિન્દુઓને રાષ્ટ્ર અને ધર્મની ચિંતા કરવા અપીલ કરી હતી. તેમણે ભગવાન રામ અને શબરીના ઉદાહરણથી સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો. તેમણે જ્ઞાતિજાતિના ભેદભાવ ભૂલીને સૌને એક થવા આહવાન કર્યુ હતુ.
તેમણે કવિતામય સ્વરે જણાવ્યું હતું કે જેના ચિત્ત ચોખ્ખા હોય એની જાતિ ન જોવાય. વેદવ્યાસજીનું ઉદાહરણ આપીને કુળ કરતાં કર્મને મહાન ગણાવ્યું હતું. આરએસએસ અને પાંડુરંગ દાદાના સમરસતાને વિચારને તેમણે બિરદાવ્યો હતો. તેમણે કુટુંબ, ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે જાગૃત થવા હાકલ કરી હતી. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ધર્મસંમેલનમાં ભાગ લઈને ભારતનું ગૌરવ વધાર્યુ હતુ તેનો ઉલ્લેખ કર્યો હતો.
આ જ સંમેલનમાં હિન્દુ એક્તા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આરએસએસના આગેવાન જિજ્ઞેશ સોનીએ જાતિવાદ પર નિવેદન કર્યુ હતુ. તેમણે હિંદુઓને જ્ઞાતિના વાડાઓમાંથી બહાર આવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ચોંકાવનારો દાવો કર્યો હતો કે દેશના છ રાજ્યોમાં 300થી વધુ તાલુકાઓમાં હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે. કડીમાં એક આખુ ગામ ખ્રિસ્તી બની ગયુ હોવાનો ચોંકાવનારો દાવો કર્યો હતો.
તેમણે સામાજિક સમરસતા માટે પાટણના અજીમાણાના દેસાઈ પરિવારના ઉદાહરણ આપ્યું હતું. આ દેસાઈ કુટુંબે પોતાની પુત્રીના જે મંડપમાં લગ્ન થયા તેમા જ તેની બહેનપણીના લગ્ન કરાવ્યા હતા. બંને નાનમપણથી બહેનપણીઓ હતી. ફક્ત એટલું જ નહીં તેમણે ગામની બધી જ અનુસૂચિત જનજાતિઓની દીકરીનો ખોળો ભરવામાં આવે તો તેનો કરિયાવર કરવાની જવાબદારી લીધી. આમ હિન્દુઓએ આવા દેસાઈ કુટુંબ જેવા થવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે હિન્દુઓ જો એક નહીં થાય તો તેમના માટે ત્રણ જ રસ્તા છે એક તો બંગાળની ખાડી, બીજો હિંદ મહાસાગર અને ત્રીજો અરબ સાગર.
