Haridwar News/ હરિદ્વારમાં શ્રદ્ધાળુઓની બસ પલટી, રાજસ્થાનની મહિલાનું મોત, 38 ઘાયલ

Haridwar Bus Accident: હરિદ્વારના સપ્તઋષિ વિસ્તારમાં ડમ્પરની ટક્કરથી રાજસ્થાનના શ્રદ્ધાળુઓની બસ પલટી ગઈ. અકસ્માતમાં 1 મહિલાનું મોત અને 38 યાત્રીઓ ઘાયલ. પોલીસ અને સ્થાનિકોએ કર્યું રેસ્ક્યૂ.

NATIONAL Top Stories India
Haridwar Bus Accident

Haridwar Bus Accident: ઉત્તરાખંડના પવિત્ર તીર્થધામ હરિદ્વારમાંથી આજે સોમવારે સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. હરિદ્વારના સપ્તઋષિ વિસ્તાર પાસે એક બેફામ ઝડપે આવી રહેલા ડમ્પરે શ્રદ્ધાળુઓથી ભરેલી બસને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ રસ્તાની બાજુમાં પલટી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં રાજસ્થાનની એક મહિલા શ્રદ્ધાળુનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે 38 અન્ય મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Haridwar : દર્શન કરીને વતન પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી આ ખાનગી બસમાં કુલ 45 મુસાફરો સવાર હતા અને આ તમામ લોકો રાજસ્થાનના નાગૌર જિલ્લાના વતની હતા. આ તમામ શ્રદ્ધાળુઓ પૂર્ણિમાના પવિત્ર અવસરે ગંગા સ્નાન અને દેવ દર્શન માટે હરિદ્વાર આવ્યા હતા. દર્શન અને સ્નાનની વિધિ પૂર્ણ કર્યા બાદ તેઓ ખુશી-ખુશી પોતાના વતન રાજસ્થાન પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સોમવારે સવારે આશરે 7:15 વાગ્યે સપ્તઋષિ વિસ્તારમાં એક સ્થાનિક ઢાબા નજીક કાળમુખા ડમ્પરે બસને અડફેટે લીધી હતી.

Haridwar : ચીસાચીસથી ગુંજી ઉઠ્યો હાઈવે

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અકસ્માત એટલો જોરદાર હતો કે ડમ્પરની ટક્કર વાગતા જ બસ રોડ કિનારે પલટી ગઈ હતી. અકસ્માત થતાં જ વહેલી સવારે હાઈવે પર મુસાફરોની ચીસાચીસ અને હોબાળો મચી ગયો હતો અને ઘણા યાત્રીઓ બસની અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ હરિદ્વાર પોલીસ, વહીવટી પ્રશાસન અને ઈમરજન્સી બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક લોકોએ પણ ભારે જહેમત ઉઠાવીને બચાવ કામગીરીમાં મદદ કરી હતી અને બસના કાચ તોડીને ફસાયેલા યાત્રીઓને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

ઘાયલોમાં 30 મહિલાઓ અને 2 બાળકીઓ સામેલ

હરિદ્વારના વરિષ્ઠ પોલીસ અધિકારીએ અકસ્માતની વિગતો આપતા જણાવ્યું કે, આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 38 મુસાફરોને તાત્કાલિક સારવાર માટે જિલ્લા મેળા હોસ્પિટલ અને મહિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘાયલોમાં 30 મહિલાઓ, 6 પુરુષો અને 2 નાની બાળકીઓનો સમાવેશ થાય છે. સારવારમાં કોઈ બેદરકારી ન રહે તે માટે હોસ્પિટલોમાં વધારાના તબીબોની ટીમ તૈનાત કરી દેવાઈ છે.

અકસ્માતમાં જાન ગુમાવનાર કમનસીબ મહિલાના મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) માટે મોર્ચ્યુરીમાં ખસેડવામાં આવ્યો છે અને પ્રશાસન દ્વારા રાજસ્થાનમાં રહેતા તેમના પરિવારજનોને સત્તાવાર જાણ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર અને બસ બંનેને કબ્જે કરીને ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો: હરિદ્વારમાં કાળજું કંપાવતી ઘટના, પિતાને મળવા દોડેલી માસૂમનું પિતાના જ વાહન નીચે મોત

આ પણ વાંચો: પિતાના અસ્થિ હરિદ્વાર લઈ જતી વખતે માતા અને પુત્ર સહિત એક પરિવારના 6 સભ્યોના થયી મોત

આ પણ વાંચો: હરિદ્વારના મનસા દેવી મંદિરમાં ભાગદોડ, ભારે ભીડને કારણે છ લોકોના મોત