ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma )ના વનડે કરિયરને લઈને છેલ્લા થોડા દિવસોથી અટકળોનું ગરમઇ છે. તાજેતરમાં જ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે રોહિત હવે વનડે ટીમની ભવિષ્યની યોજનાઓનો ભાગ નથી. લોર્ડ્સના મેદાન પર રમાનારી મેચ તેમની છેલ્લી મેચ હોઈ શકે છે તેવી ચર્ચાઓ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મૌન તોડ્યું છે. પરંતુ બોર્ડના આ નિવેદનથી સ્પષ્ટતા થવાને બદલે સસ્પેન્સ વધુ ઘેરો બન્યો છે કે શું રોહિત 2027ના વનડે વર્લ્ડ કપની બ્લુ પ્રિન્ટમાં સામેલ છે કે નહીં?
BCCI ના નિવેદન પાછળ છુપાયેલો અસલી સંકેત
બીસીસીઆઈના સેક્રેટરી દેવજીતે રોહિતની નિવૃત્તિની અફવાઓ પર વિરામ મૂકવાનો પ્રયાસ કરતા કહ્યું કે, લોર્ડ્સ ટેસ્ટ કે વનડેને રોહિતની વિદાય મેચ જાહેર કરવા અંગે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી. તેમણે ઉમેર્યું કે જ્યાં સુધી રોહિત ટીમ મેનેજમેન્ટની યોજનાઓ (Scheme of Things) માં ફિટ બેસશે, ત્યાં સુધી તે ભારત માટે રમતો રહેશે. આ નિવેદન ઉપરછલ્લું જોતાં સકારાત્મક લાગે છે, પરંતુ બોર્ડે ક્યાંય એવો દાવો નથી કર્યો કે આગામી વનડે સિરીઝમાં રોહિત ઓપનર તરીકે રમશે જ.
‘સ્કિમ ઓફ થિંગ્સ’ ની આડમાં સિનિયર્સની વિદાયનો ઈતિહાસ
ભારતીય ક્રિકેટમાં જ્યારે કોઈ મોટા ખેલાડીને ટીમમાંથી સીધો બહાર ન કરવો હોય, ત્યારે હંમેશા આ ‘યોજનાઓ’ વાળા શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. આ અગાઉ ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને શિખર ધવન જેવા દિગ્ગજો સાથે પણ આવું જ થઈ ચૂક્યું છે. કોઈ ઔપચારિક જાહેરાત વિના જ તેમને ધીમે-ધીમે ટીમમાંથી સાઈડલાઈન કરી દેવાયા હતા. રોહિત ભલે વનડે ઇતિહાસના સૌથી સફળ કેપ્ટન અને ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વના એકમાત્ર બેટ્સમેન હોય, પરંતુ ક્રિકેટમાં નિર્ણયો ભૂતકાળના રેકોર્ડ જોઈને નહીં પણ ભવિષ્યની જરૂરિયાતોને આધારે લેવાય છે.
ભવિષ્યના ઓપનર્સની દાવેદારી અને પસંદગીકારોનો પડકાર
અત્યારે વનડે ટીમમાં શુભમન ગિલ પોતાની જગ્યા પાકી કરી ચૂક્યો છે, જ્યારે યશસ્વી જયસ્વાલ જેવા યુવા બેટ્સમેનો સતત શાનદાર પ્રદર્શન કરીને ઓપનિંગ સ્લોટ માટે મજબૂત દાવેદારી નોંધાવી રહ્યા છે. આવા સમયે પસંદગીકારો માટે અનુભવ અને યુવા જોશ વચ્ચે સંતુલન બનાવવું મુશ્કેલ છે. બીસીસીઆઈએ એટલું તો સાફ કરી દીધું છે કે રોહિતની સફર હજુ અટકી નથી, પણ આગામી વનડે ટીમની જાહેરાત જ નક્કી કરશે કે રોહિત 2027 ના મિશન વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા સાથે હશે કે નહીં.
આ પણ વાંચો:રોહિત શર્મા વનડે ક્રિકેટમાંથી નિવૃત્ત થશે? લોર્ડ્સ વનડે પહેલા BCCIએ અફવાઓ પર આપ્યો સણસણતો જવાબ
આ પણ વાંચો:રોહિત શર્માની નિવૃત્તિની અટકળો વચ્ચે 891 રનનો મોટો સવાલ, BCCI શું નિર્ણય લેશે?
આ પણ વાંચો:રોહિત શર્મા યુગનો અંત? લોર્ડ્સ વનડે હોઈ શકે છે ‘હિટમેન’ ની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ
