અમદાવાદ,
ગુજરાત વિકાસનું મોડેલ છે. તેમાં કોઇ શંકા નથી પણ, વાયબ્રન્ટ ગુજરાતના ધરતીપુત્રોની સમસ્યાનો કોઇ ઉકેલ નજીકના સમયમાં આવે તેવા કોઇ સંકેત નથી. ગુજરાતના ખેડૂતો પોતાની માંગણીઓને લઇને ઘણા લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે અને આવનારા દિવસોમાં આંદોલન ઉગ્ર બનશે.
ગુજરાત ખેડુત સમાજના સેક્રેટરી સાગર રબારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડુતોના દેવાને લઇને અનેક સમસ્યાઓ છે. અમારી માંગણી છે કે, રાજ્યમાં ખેડુતો માટે અલગ કમિશન બનવું જોઇએ અને ખાસ નીતિ બનવી જોઇએ.
ગુજરાતમાં ચૂંટણી અગાઉ રાજકીય પક્ષો દ્વારા ખેડૂતોને તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ખાતરી આપવામાં આવી હતી. પણ પરિસ્થિતિ યથાવત હોવાનો દાવો છે. ગુજરાત ખેડૂત સમાજનો દાવો છે કે, રાજ્યના ખેડૂતોના માથે બોતેર હજાર ચારસો કરોડ રુપિયાનું દેવું છે. ત્યારે ખેતી કરવાના ખર્ચાઓ દિવસે – દિવસે વધી રહ્યા છે. ખેડૂતોને ખેતી માટે પાણી મળતું નથી. વીજળી નિયમિત મળતી નથી. પાકના પોષણક્ષમ ભાવો મળતા નથી. જેથી ખેડૂતો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. ગુજરાત ખેડૂત સમાજ દ્વારા આ મુદ્દે આંદોલન ચલાવ્યું છે. આવનારા દિવસોમાં આ આંદોલન વધારે ઉગ્ર બનવાનું છે.
ગુજરાત ખેડૂત સમાજ દ્વારા ખેડૂતોના મામલે શનિવારે સુરતમાં મહત્વની બેઠક મળવાની છે. જેમાં ખેડૂતોના દેવા, વિજ બિલ માફી, મગફળી અને કપાસના ટેકાના ભાવ વધારવા, સિંચાઇ અને પીવા માટે પૂરતું પાણી આપવું, વીમામાં વિસંગતા દૂર કરી વીમા પ્રીમિયમ ઘટાડવું. ભૂંડ માટે બધા ખેડૂતોને વાડ માટે ગુજરાત સરકાર સબસિડી આપે તે અંગે ચર્ચા કરાશે અને ભાજપ સરકાર દ્વારા પણ બજેટસત્રમાં ખેડૂતો અંગેના હિતકારી નિર્ણયો અંગે ચર્ચા થાય તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.