ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુએ આવતીકાલથી ભારતના છ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના પણ મહેમાન બનવાના છે. સાથે જ આગરામાં તાજમહેલની પણ મુલાકાતે જશે. ઈઝરાયલના દૂતાવાસના જણાવ્યા મુજબ પોતાના આ ભારત પ્રવાસ દરમિયાન બેંજામિન નેતન્યાહુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે બેઠક કરશે. તેમજ દિલ્હી ખાતે ભૂ-રાજનીતિક વાર્ષિક સંમેલનમાં પણ ભાગ લેશે.
તેમજ દિલ્હીમાં ભારત-ઈઝરાયલ સીઈઓની બેઠકને પણ સંબોધિત કરશે. આ સંમેલન દર વર્ષે દિલ્હી ખાતે યોજાય છે, જેમાં ભારત વૈશ્વિક રાજનીતિના સળગતા પ્રશ્નો અંગે ચર્ચા કરે છે. ઈઝરાયલના રાજદૂત ડેનિયલ કાર્મોને જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નેતન્યાહુનો ભારત પ્રવાસ ભારત અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા ૨૫ વર્ષથી વધી રહેલ ભાગીદારીના ગ્રાન્ડ ફિનાલે સમાન છે.
આ પ્રવાસનો ઉદ્દેશ્ય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસ બાદ બન્ને દેશોના સંબંધોમાં નોંધાયેલ સુધારાઓને આગળ ધપાવતા આગામી ૨૫ વર્ષ માટેના સંબંધોને આકાર આપવાનો છે. નેતન્યાહુ આવતીકાલે દિલ્હી ખાતે પહોંચશે. જ્યારે ૧૯ જાન્યુઆરીએ મુંબઈથી પોતાના વતન જવા રવાના થશે. બન્ને દેશના વડાપ્રધાન ૧૭મીએ ગુજરાતની મુલાકાતે આવશે.
જ્યાં એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ભવ્ય રોડ શો યોજવામાં આવશે. તેમજ વદરાદ ગામમાં સેન્ટર ફોર એક્સીલન્સની મુલાકાત લેશે. સાથે જ ભૂજમાં વીડિયો કોન્ફરન્સ મારફતે સેન્ટર ઓફ એક્સીલન્સ ફોર ડેટપામનુ ઉદ્ઘાટન કરશે. બન્ને દેશના વડાપ્રધાન આઈક્રિએટ ઈન્નોવેશન કેમ્પ અને સેન્ટરની મુલાકાત લેશે. જ્યારે મુંબઈમાં નેતન્યાહુ યહુદી સમુદાય અને ભારતીય વેપારી સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે. તેમજ બોલીવુડના એક કાર્યક્રમમાં પણ ભાગ લેશે.