જયપુર,
રાજસ્થાનમાં ખેડૂતો દ્વારા લોન માફીને લઇ કરવામાં આવતુ આંદોલન દિન-પ્રતિદિન વધુ ઉગ્ર બનતું જાય છે. ત્યારે હવે આ ઉગ્ર આંદોલનનો પડઘો વિધાનસભામાં પણ ગુંજ્યો છે. વિપક્ષ દ્વારા સત્તાધારી પક્ષ પર આરોપ લગાવ્યો છે કે, “સરકાર દ્વારા ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનને દબાવવામાં આવી રહ્યુ છે”.
જયારે રાજ્યના ગૃહપ્રધાન ગુલાબચંદ કટારિયાએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટના નિર્ણય બાદ ખેડૂતોને આંદોલન કરવાની મંજુરી આપવામાં આવી ન હતી ત્યારે પણ ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ કારણે ૧૭૯ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી ૫૬ને જામીન પર છોડી દેવામાં આવ્યા છે.
બીજી બાજુ કિસાન સભાના કોષાધ્યક્ષ ગુરુચરણસિંહ મોડેએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં હાલ કટોકટી જેવો માહોલ ચાલી રહ્યો છે. સરકાર ખેડૂતોની વાત પણ સાંભળવા તૈયાર નથી. સરકારે અમારા કાર્યાલય સહિત સમગ્ર રાજ્યને એક છાવણીમાં ફેરવી દીધુ છે. ખેડૂતો આજે રસ્તા પર ઉંઘવા માટે મજબુર છે. સરકાર મહિલાઓ પર પણ દયા દાખવતી નથી.
ખેડૂતોના ઉગ્ર બનતા આંદોલન અંગે રાજ્યના સંયુક્ત સચિવ સંજય માધવે જણાવ્યુ હતું કે, રાજ્યના લાખો ખેડૂતો શુક્રવારે જયપુર તરફ કૂચ કરી રહ્યા હતા. પરંતુ સરકારે રસ્તામાં જ તેમની કૂચ રોકી દીધી છે. ખેડૂતોએ વિધાનસભાના ઘેરાવની હાકલ કરી છે. જેના કારણે રાજ્યભરમાંથી ખેડૂતો જયપુર પહોંચી રહ્યા છે. ખેડૂતોની થયેલ અટકાયત બાદ ઉશ્કેરાયેલા અન્ય ખેડૂતોએ ચક્કાજામ કર્યા છે. જેના કારણે રાજ્યના મુખ્ય ધોરીમાર્ગો પર અનેક કિલોમીટર લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી.