દિલ્લી,
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચુંટણી પહેલા દેશની તમામ વિપક્ષી પાર્ટીઓને એકજુથ કરવાની કોશિશ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદી પર રાજકીય હુમલો કર્યો છે. સોનિયા ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા જણાવ્યું, શું ભારત ૨૬ મે ૨૦૧૪ પહેલા એક બ્લેક હોલ હતો ? શું ભારત વિકાસ અને મહાનતા તરફ માત્ર ૪ વર્ષમાં જ આગળ વધ્યું છે ?
એક ખાનગી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, મોદી સરકારના “અચ્છે દિન”ના દાવાઓની હાલત “ઇન્ડિયા શાઈનિંગ”જેવી જ થશે.
૨૦૧૯ની લોકસભાની ચુંટણી અંગેના પ્રશ્નમાં તેઓએ જણાવ્યું, ૨૦૧૯માં કોંગ્રેસ પાર્ટી વધુ એકવાર સત્તા પર આવશે. આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસનો મુખ્ય મુદ્દો પણ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ જ હશે.
મંદિર જવાના સવાલ અંગે જવાબ આપતા તેઓએ કહ્યું, “બીજેપી દ્વારા કોંગ્રેસ પાર્ટીને મુસ્લિમોની પાર્ટી બતાવવામાં આવી અને આ કરવામાં તેઓ સફળ રહ્યા. એમ મંદિર પહેલેથી જઈ રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે જયારે ફરવા જતા હતા ત્યારે જે તે ક્ષેત્રના મોટા મંદિરમાં આવશ્યક જતી હતી. પરંતુ અમારા દ્વારા ક્યારેય પણ તેનો પ્રચાર કરવામાં આવ્યો નથી”.
સોનિયા ગાંધીએ હાલની રાજનીતિ અંગે જણાવ્યું હતું કે, લોકશાહીમાં ચર્ચા માટે ખુલી છૂટ હોવી જોઈએ પરંતુ તાજેતરના સમયમાં ઘણા લોકો પાછળ છુટી રહ્યા છે. ઈતિહાસને વધુ એક વાર લખવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સમયે દેશની રાજનીતિ એક અલગ રૂપથી ચાલી રહી છે. સત્તામાં બેઠેલા લોકો ભડકાઉ ભાષણો આપી રહ્યા છે આ કારણે લોકોની અભિવ્યક્તિઓની આઝાદી પર પણ ખતરો ઉભો થયો છે.
મહત્વનું છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંઘી ૨૦૧૯ની લોકસભા ચુંટણી પહેલા તમામ વિપક્ષી પાર્ટીઓને એકજુથ કરવાની કોશિશ કરી રહ્યા છે અને આ ઉદ્દેશથી ૧૩ માર્ચના રોજ વિપક્ષી નેતાઓનું ડિનર પર આયોજિત કરવામાં આવ્યું છે.