Ahmedabad News: ગુજરાતમાં દિવસ ઉગવાની સાથે જ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જે મોડી રાત્રી સુધી યથાવત રહે છે. છેલ્લા કેટલાક દિવસથી રાત્રીનુ લઘુત્તમ તાપમાન પણ વિક્રમી સપાટીએ પહોચ્યું છે. રાજ્યના કેટલાય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ રહ્યો છે. ત્યારે આવામાં ગરમીના લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તો કેટલાક લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ત્યારે આવામાં ગુજરતાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને લોકોને તડકામાં કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર લખ્યું છે,ગુજરાતના મારા વ્હાલા સૌ નાગરિક ભાઈ-બહેનો.. આપણે બધા જ હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. હવામાન વિભાગે પણ હીટ વેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી છે.
આ આકરા તાપમાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે. ‘સાવચેતી એ જ સલામતી’ એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે.
આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે, તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ, અનિવાર્ય હોય તો જ નીકળીએ. પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ અને ડી-હાઇડ્રેશનથી બચીએ. લૂ લાગવી – સન સ્ટ્રોક લાગવો કે ગરમીના પ્રકોપને કારણે સ્વાસ્થ્યને અસર પડે તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર-દવાખાનાનો સંપર્ક કરીએ. આ હીટ વેવ, અતિશય ગરમી અને તાપની સ્થિતિમાં સૌ સાવચેતી, સલામતી અને સતર્કતા રાખીએ.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. પરંતુ તે પહલાં 48 કલાક દરમિયાન આજે અને આવતીકાલે ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાતે 10 વાગ્યે 40 ડિગ્રી સુધી તાપમાન રહેશે. એટલે કે રાતે પણ આગ ઝરતા તાપમાનમાં શેકાશો. બીજી તરફ ગરમીમાં થોડી રાહત મળશે તેવા હવામાન વિભાગે સમાચાર આપ્યા છે. જો કે, આ રાહત ચાર દિવસ પછી મળશે. ચાર દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન ઘટશે.આ ઉપરાંત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની અસર રહેશે. ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આથી બે દિવસ દરમિયાન શહેરીજનોએ બહાર નીકળતા પહેલા ચેતી જવું જોઈએ નહીં તો બિમારી નોતરી શકો છો.
આ પણ વાંચો:અનંતનાગ-રાજૌરીમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 25 મેના રોજ થશે મતદાન, આજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત
આ પણ વાંચો:પોલીસ કેજરીવાલના માતાપિતાની પૂછપરછ કરશે, બિભવ કુમારને આજે કોર્ટમાં રજૂ કરાશે
આ પણ વાંચો:દિલ્હીમાં ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ, તમામ પક્ષો પ્રચારમાં લગાવશે જોર