કુશીનગર,
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં ગુરૂવારે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં સ્કુલવાન ટ્રેન સાથે અથડાતા ૧૨ બાળકો સહિત ૧૩ લોકોના મોત થયા છે. મૃતકોમાં બસના ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. માનવામાં આવી રહ્યુ છે કે અકસ્માત સમયે સ્કુલ બસમાં ૨૫થી વધુ બાળકો સવાર હતા. આ અકસ્માતમાં ૧૩ બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાયલ બાળકો પૈકી કેટલાકની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે. પરિણામે મૃતાંકમાં વધારો થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આજે વહેલી સવારે ડિવાઈન પબ્લીક સ્કુલની ટાટા મેજિક વાન બસ બાળકોને લઈને સ્કુલ જઈ રહી હતી. ત્યારે વિશુનપુરા પોલીસ સ્ટેશનના દુહરી રેલવે ક્રોસિંગ પાસે થાવે-બઢની મુસાફર ટ્રેન પસાર થઈ રહી હતી. આ રેલવે ક્રોસીંગ માનવ રહીત હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. સ્કુલ વાન ટ્રેક પરથી પસાર થઈ રહી હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રેને બસને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કુલવાનનો ક્ચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમજ બાળકોની બુમો દુર દુર સુધી સંભળાઈ હતી.
બાળકોની બુમો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેમણે પોલસ અને વહીવટી તંત્રની ટીમને આ માહીતી આપી હતી. આ દુર્ઘટના અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે દુર્ઘટનાનો ભોગ બનેલ બાળકોના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયાનુ વળતર આપવાની જાહેરાત કરી છે. તેમજ દુર્ઘટનાની તપાસ માટે ખાસ ટીમ રચવાની જાહેરાત કરી છે.