ગાંધીનગરઃ અર્જુન મોઢવાડિયાએ ભાજપમાં સામેલ થવાની ઉઠેલી અટકળો નકારી કાઢી છે. તેમણે એક્સ પર જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસનો જ વિધાનસભ્ય છું અને કોંગ્રેસ છોડીને ક્યાંય જવાનો નતી. તેથી મારા ભાજપમાં જોડાવવા અંગે ઉઠેલી બધી અટકળો ખોટી છે. આમ અર્જુન મોઢવાડિયાએ તેમના ભાજપમાં જોડાવવાની વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
આ પહેલા અહેવાલો હતા કે ગુજરાત સરકાર વિરોધી પ્રહાર કરવા માટે તેના જાણીતા નેતા અને ભૂતપૂર્વ પક્ષપ્રમુખ અર્જુન મોઢવાડિયા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કેસરિયા કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં ભળી જાય તેમ માનવામાં આવે છે.
અર્જુન મોઢવાડિયાએ તાજેતરમાં કેટલાક મુદ્દે પક્ષની લાઇનથી વિપરીત વલણ અપનાવ્યું ત્યારથી જ ગણગણાટ થવા માંડ્યો હતો. જો કે ઘણાનું કહેવું છે કે જ્યારે ગુજરાત કોંગ્રેસનું સુકાન શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવ્યું ત્યારથી જ પક્ષમાંથી અર્જુનના વળતા પાણી થવા માંડ્યા હતા.
આ ઉપરાંત તાજેતરમાં કોંગ્રેસ હાઇકમાન્ડે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને તેને ભાજપનો કાર્યક્રમ ગણાવ્યો ત્યારે પણ અર્જુન મોઢવાડિયાએ પાર્ટી લાઇન કરતાં વિપરીત વલણ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભગવાન રામ સૌના છે, તેની સાથે રાજકીય બાબતો જોડવી ન જોઈએ. 500 વર્ષ પછી ઇતિહાસ સર્જાઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસે પણ તેની સાથે જોડાવવું જોઈએ. એક સમયે આ રામમંદિરના તાળા ખોલનારી પણ કોંગ્રેસ પોતે જ હતી.
બધા જ પ્રકારના રાજકીય લાભની ચિંતા બાજુએ મૂકીને કોંગ્રેસે રામમંદિરના આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરીને તેમા હાજરી આપવી જોઈએ. થોડા સમય માટે પણ રાજકારણ ભૂલીને રામમય થવું જોઈએ. જો કે કોંગ્રેસે તેમની વાતને સ્વીકારી ન હતી. પક્ષે તો આ બાબત પક્ષની આંતરિક બાબત ગણાવી વાત પૂરી કરી દીધી હતી, પરંતુ અર્જુન તો છેવટે અર્જુન જ છે.
તે સમજી ગયા કે કોંગ્રેસે રસ્તો જ ખોટો પકડ્યો છે. રામ નામની અવગણના કોંગ્રેસને ફક્ત આ જ ચૂંટણી નહીં આગામી કેટલીય ચૂંટણીઓ સુધી ભારે પડવાની છે. છેલ્લા કેટલાક સમયથી અર્જુન પક્ષના કાર્યક્રમમાં ઓછા અને ભાજપના કાર્યક્રમમાં વધુ દેખાતા હતા. હવે આ બધી વાતનો અંત તેમના કેસરિયા સાથે આવી શકે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ