મુંબઈ,
આગામી ૧૪ જૂનના રોજ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી એક માત્ર ટેસ્ટ પહેલા ભારતીય ટીમને એક ઝટકો લાગ્યો છે. બેંગલુરુમાં રમાનારી ટેસ્ટ મેચ પહેલા ભારતના વિકેટકીપર બેટ્સમેન રિધ્ધિમાન સહા હાથમાં થયેલી ઈજાને કારણે બહાર થઇ ગયો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ અમિતાભ ચૌધરી દ્વારા શનિવારે આપવામાં આવેલા એક નિવેદનમાં આ પૃષ્ટિ થઇ છે. ત્યારે હવે ઈજાગ્રસ્ત સહાના સ્થાને દિનેશ કાર્તિકનો સમાવેશ કરાયો છે.
બીજી બાજુ બેંગલુરુમાં ભારત સામે રમાનારી અફઘાનિસ્તાનની આ પ્રથમ ટેસ્ટ હશે.
ઉલ્લેખનીય છે કે, રીદ્ધિમાન સહાને ૨૫ મેના રોજ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રમાયેલા IPLના ક્વોલિફાયર-૨ની મેચમાં હાથની આંગળી પર ઈજા થઇ હતી.
આ પહેલા અફગાનિસ્તાન સામેની રમાનારી ટેસ્ટ મેચ પહેલા સહાની ટીમમાં પસંદગી કરાઈ હતી. પરંતુ IPLના ક્વોલિફાયર-૨ની મેચ દરમિયાન થયેલી ઈજા બાદ ભારતીય ટીમની મેડિકલ ટીમ સતત સહા પર નજર રાખી રહી હતી અને શનિવારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મેડિકલ ટીમ દ્વારા આગામી મહિનામાં ઈંગ્લેંડ સામે રમાનારી મહત્વની ટેસ્ટ સિરીઝ પહેલા સહાને પૂરી રીતે સ્વસ્થ થવા માટે આરામ આપવામાં આવ્યો છે. મેડિકલ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સહાને પૂરી રીતે સ્વસ્થ થવા માટે પાંચ થી છ સપ્તાહનો સમય લાગશે.
મહત્વનું છે કે, દિનેશ કાર્તિકે ૮ વર્ષ પહેલા ૨૦૧૦માં બાંગ્લાદેશ સામે અંતિમ ટેસ્ટ રમી હતી. જો કે ત્યારબાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં કાર્તિકનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. પ્રથમ શ્રેણીમાં કાર્તિકે ૨૭ સદી સાથે ૯૦૦૦થી વધુ રન બનાવ્યા છે. જયારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કાર્તિકે ૨૩ ટેસ્ટ મેચોમાં એક સદી અને ૭ અડધી સદી સાથે ૧૦૦૦ રન ફટકાર્યા છે.