જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં CRPFની એક ગાડી પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ ત્યાંથી નીકળવાની કોશિશમાં ત્રણ હુમલાખોર ગાડી નીચે કચડાઈ ગયા હતા. ત્યારબાદ ઘાટીમાં કેટલાક પ્રદર્શન થયા અને અન્ય લોકોએ પણ રાજ્યની મેહબુબા મુફ્તી સરકારની આલોચના કરી હતી. રીપોર્ટ મુજબ ગાડી નીચે આવી ગયેલા ત્રણ ઘાયલ હુમલાખોરમાંથી એકનું મૃત્યુ થઇ ગયું હતું.
ઘટના એવા સમયે બને છે જયારે થોડા દિવસો બાદ ગૃહમંત્રી રાજનાથસિંહ આ વિસ્તારના પ્રવાસે આવવાના છે. આ કારણે મોદી સરકારની કાશ્મીરના યુવાનો સુધી પહોચવાની કોશિશોને ઝટકો લાગી શકે છે. જણાવી દઈએ કે હાલમાં જ કેન્દ્ર સરકારે એલાન કર્યું હતું કે રમઝાન મહિનામાં આતંકીઓ સામેના સૈન્યના ઓપરેશનને રોકી દેવામાં આવ્યું હતું.
એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ એક સીનીયર અધિકારીને ઉતાર્યા બાદ ગાડી પરત આવી રહી હતી, જે પ્રદર્શનકારી લોકોની ભીડ વચ્ચે ફસાઈ ગઈ હતી. ઘટના અંગેના જે વીડિઓ ફૂટેજ આવ્યા છે એમાં ગાડી ભીડમાં ફસાઈ ગયેલી જોવા મળે છે અને ગાડીના ડ્રાઈવર ત્યાંથી નીકળવાની કોશિશ કરી રહ્યા છે. અન્ય એક વિડીઓ પ્રદર્શનકારીઓ ગાડી પર એકદમ નજીકથી ઈંટ અને પથ્થર ફેકતા દેખાઈ રહ્યા છે. આ લોકો એક ઘાયલ શખ્શને હટાવતા પણ જોઈ શકાય છે.
નેશનલ કોન્ફરન્સના નેતા ઊમર અબ્દુલ્લાએ આ ઘટના મુદ્દે સીએમ મુફ્તી પર નિશાન સાધ્યું છે. જોકે સીએમ મુફ્તીનું આ ઘટના વિશે કોઈ નિવેદન આવ્યું નથી. અબ્દુલાએ ટ્વીટર પર લખ્યું કે સીઝફાયરનો મતલબ છે બંદુકો નહિ, એટલે ગાડીનો ઉપયોગ કરો. એમણે મુફ્તીને સવાલ કર્યો કે શું પ્રદર્શનકારીઓ સાથે વ્યવહાર કરવાની આ આદર્શ રીત છે?. જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વીટ કરીને કહ્યું કે એક ખાસ ફોટો આ ઘટનાની પૂરી તસ્વીર દર્શાવતો નથી. જણાવી દઈએ કે સોશિયલ મિડિયામાં કેટલક તસ્વીરો વાયરલ થઇ રહી છે જેમાં કેટલીક તસવીરોમાં ઉગ્ર ભીડ ગાડી પર હુમલો કરતી દેખાય છે, જ્યારે કેટલીક તસવીરોમાં એક શખ્શ ગાડીના ટાયર નીચે દબાયેલો જોવા મળે છે.