અમદાવાદ: સાવરકુંડલાના લીખાળા ગામે એક ખેતરના કૂવામાંથી એક સિંહ અને દસ નીલગાયના મૃતદેહો ગુરુવારે સાંજે મળી આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે સ્થાનિક ધારાસભ્ય (MLA) પ્રતાપ દુધાતે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના ઘણી ગંભીર છે, પરંતુ આ ઘટનામાં વનવિભાગ દ્વારા ખોટી રીતે ખેડૂતોને ફસાવવાનો પ્રયાસ ન કરે અન્યથા ખેડૂતોને વિરોધ કરવાની ફરજ પડશે. ધારાસભ્ય દુધાતના આ નિવેદન બાદ આ ઘટના અંગે કેટલાક પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે ગુરુવારે સાંજે જયસુખભાઈ નનુભાઈ સુહાગિયાની માલિકીની વાડીમાં આવેલા 50 ફૂટ ઊંડા કૂવામાંથી એક સિંહ સહિત 10 નીલગાય મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેના કારણે વન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં એક સિંહ અને 10 નીલગાયની હત્યા કરી આ કૂવામાં કોઇ ફેંકી ગયાનું ખુલતા વન્યજીવપ્રેમીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી ગઇ છે. જો કે શુક્રવારે મોડી સાંજે વનવિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વન્ય પ્રાણીઓના મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળ્યું છે કે, સિંહનું મોત વીજ કરંટ લાગવાથી થયું છે જયારે નીલગાયના મોત ઝેરી પાણી પીવાના કારણે થયા છે.
જે કૂવામાંથી મૃતદેહો મળ્યા તે ખેતર પડતર હતું અને માલિક પરિવાર સાથે સુરત હતા
આ અંગે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના ઘણી ગંભીર છે, આ ઘટના અંગેની માહિતી મેળવી છે. જે ખેડૂતની વાડી (ખેતર)ના કૂવામાંથી સિંહ અને નીલગાયના મૃતદેહો મળ્યા છે તે જયસુખભાઈ સુહાગિયાનું ખેતર હાલ પડતર અને સૂકુંભઠ્ઠ પડ્યું છે તેથી તેઓ તેમના પરિવાર સાથે સુરત ગયા હતા. સુરતથી આવ્યા બાદ તેમને આં ઘટનાની જાણ થઈ હતી અને તેમણે ગામના સરપંચને આ મામલે જાણ કરી હતી. આ પછી આ ઘટના બહાર આવી હતી. આ ઘટના અંગે વનવિભાગની પણ એટલી ઘોર બેદરકારી રહેલી છે.
ધારાસભ્ય દુધાતે વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં ખેડૂત જયસુખભાઈ અને તેનો પરિવાર નિર્દોષ છે. કારણ કે કોઈ વ્યક્તિના ખેતરના શેઢે વીજ કરંટ મુકે અને સિંહ કે અન્ય વન્ય પ્રાણી મરી જાય તો તે પોતાના વાડી કે ખેતરના કૂવામાં તેને ન નાખી દે. આ ઘટનામાં કોઈ વ્યવસ્થિત કાવતરું હોય તેવું લાગી રહ્યું છે. જો આ ઘટનામાં નિર્દોષ ખેડૂતોને સંડોવવામાં આવશે તેનો વિરોધ કરવામાં આવશે.
આ ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા: વન વિભાગ તેના મૂળ સુધી પહોંચી શકશે
ધારાસભ્ય પ્રતાપ દુધાત સાથેની વાતચીતમાં કેટલાક પ્રશ્નો સામે આવ્યા છે. જે વનવિભાગ પણ તેની કામગીરીમાં પણ બેદરકારી દાખવી રહ્યું હોવાનું બહાર આવ્યું છે.
આ ઘટનાના પગલે ઉભા થયેલા પ્રશ્નો
1) આ ઘટનાનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે, કોઈ પોતાની વાડી કે ખેતરમાં વન્ય પ્રાણીઓના મોત નીપજાવીને પોતાના ખેતરના કૂવામાં નાખી શકે?
2) શું એવું બની શકે કે, આ વન્ય પ્રાણીઓના અન્ય સ્થળે મોત નીપજ્યા છે અને તેને અકસ્માતમાં ખપાવવા માટે જયસુખભાઈની વાડીના કૂવામાં નાખી દેવામાં આવ્યા છે?
3) જયસુખભાઈનું ખેતર પડતર પડ્યું છે તો તેઓ શા માટે તેમની વાડી ફરતા વીજ કરંટ લગાવે?
4) જયસુખભાઈ અને તેનો પરિવાર સુરત હતો તેનો લાભ લઈને કોઈ તેમની વાડીના કૂવામાં નાખી ગયું હોય તે શક્ય નથી?
5) સિંહ અને દસ નીલગાયને એક જ કૂવામાં નાખવા એ બે-પાંચ વ્યક્તિ માટે શક્ય બને ખરું?
6) ખેડૂતોના પાકને નીલગાય અને રોઝડા જેવા વન્યજીવોથી બચાવવા માટે વનવિભાગ દ્વારા લેવાતા પગલાં યોગ્ય છે?
7) એક સિંહ અને દસ નીલગાયને કૂવામાં નાખવા માટે કેટલી વ્યક્તિની જરૂર પડે?
8) શું ખેડૂતોને ખેતી માટે દિવસમાં વીજળી આપવામાં આવે છે?
9) શું ખેડૂતોના પાકને વન્યજીવોથી બચાવવા માટે વનવિભાગ દ્વારા લેવાતા પગલાં યોગ્ય અને પૂરતાં છે?
10) શું વન્ય પ્રાણીઓને રહેણાકી વિસ્તાર તરફ જતાં રોકવા માટે વનવિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે છે?
લીખાળાની ઘટના બાદ વનવિભાગની કામગીરી સામે આવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.