અલ્હાબાદ,
સંગમ નગરી અલ્હાબાદમાં આવતા વર્ષનો કુંભમેળો અલગ અને ખાસ હશે. ૨૦૧૯માં યોજાનાર કુંભ મેળા પહેલા નાગા સાધુઓમાં મુખ્ય અખાડાએ ૨૨૧ દલિત મહિલાઓને દીક્ષા આપીને સંતની ઉપાધી આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ૩૦૦ દલિત પુરુષોને પણ સંતની ઉપાધિ આપવામાં આવશે. મળતી માહિતી મુજબ મૌની અમાવસ્યા પહેલા આ દલિત મહિલાઓને સંતની દીક્ષા આપવામાં આવશે અને આ મહિલા સંતોમાંથી પાંચને મહામંડળેશ્વર પણ બનાવવામાં આવશે. જુના અખાડાના ઈતિહાસમાં આવુ પ્રથમ વખત થઈ રહ્યુ છે, જ્યારે દલિત મહિલાઓને સંતની ઉપાધી આપવામાં આવી રહી છે.
કનૈયા કુમાર કશ્યપ કે જેઓ ૩૨ વર્ષીય દલિત સન્યાસી છે, એમને જુના અખાડા દ્વારા મહામંડળેશ્વર બનવવામાં આવશે. કનૈયા કુમાર કશ્યપ દીક્ષા લીધા બાદ કનૈયા શિવાનંદ ગીરી નામ ધારણ કરશે. આ પહેલા, ગયા કુંભ મેળામાં નિરંજન અખાડા દ્વારા દલિતોને ઉચ્ચ સોપાનકનું પદ આપવામાં આવ્યું હતું. જુના અખાડા દ્વારા મંગળવારે શિવાનંદ સાથે બીજા બે સંન્યાસીઓને પણ દીક્ષા આપવામાં આવી હતી, એમાંના એક મહિલા સાધ્વી રેનું શર્મા, જેઓ હવે સાધ્વી દુર્ગા ગીરીના નામ થી ઓળખાય છે. અને બીજા છે અમિત જોશી,જેઓ હવે સ્વામી તુફાન ગીરીના નામ થી ઓળખાય છે. શિવાનંદને ૨૦૧૬માં ગોસાઈની પદવી આપવામાં આવી હતી. શિવાનંદે જણાવ્યું કે સંસ્કૃત પાઠશાળામાં મને પ્રવેશ નહોતો આપવામાં આવ્યો કારણ કે હું બ્રાહ્મણ નથી, પરંતુ મારા સમાજમાંથી કોઈ સાધુ ના હોવાથી હું મારા નિશ્ચય પર અડગ હતો.
જુનો અખાડો એ નાગા સાધુઓના ૧૩ મુખ્ય અખાડા પૈકીનો એક છે. આ મહિલાઓ ઉપરાંત અખાડામાં ૩૦૦ દલિત પુરુષો પણ સંત બનવાની દીક્ષા ગ્રહણ કરશે. અખાડાના જણાવ્યા મુજબ જુના અખાડામાં લાખો સંતો છે, જેમાંથી દલિતોની સંખ્યા ૫૦૦ની આસપાસ છે. વર્તમાન સમયમાં ૮ સંતોને મહામંડળેશ્વરની ઉપાધી આપવામાં આવેલ છે, જેમાં પાંચ પુરુષો અને ૩ મહિલા સંતોનો સમાવેશ થાય છે. આગામી વર્ષે યોજાનાર મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખી આ તૈયારી કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે દલિતો અને મહિલાઓને સમાજની મુખ્ય ધારામાં લાવવાના પ્રયત્નના ભાગરુપે આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકાર દ્વારા પણ દલિતોને મુખ્ય ધારામાં લાવવા માટે સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે.