નવી દિલ્હી,
ભાજપ અને મોદી સરકારે પીડીપી સાથેનું ગઠબંધન તોડીને ફરીથી બધાને ચોંકાવી દીધા છે. આનાથી એ સાબિત થઇ ગયું છે કે કોઈ પણ મૌકો હોય, પરિણામ ભલે કઈ પણ આવે, મોદી સરકાર કડક ફેસલા લેવામાં માને છે. છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીર ઘાટીમાં હાલત સતત તણાવપૂર્ણ હતા. ત્યારબાદ માનવામાં આવતું હતું કે કેન્દ્ર કોઈ મોટું અને સાહસિક પગલું લઇ શકે છે. હવે સુરક્ષા એજન્સીઓ બમણી તાકાત સાથે આતંકીઓનો સફાયો કરવામાં લાગી જશે.
ગૃહમંત્રી રાજનાથ સિંહે હાલમાં જ પ્રધાનમંત્રીને જણાવ્યું કે કઈ રીતે રમઝાન મહિનામાં સંઘર્ષ વિરામનો ફેસલો કાશ્મીર ઘાટીના લોકોમાં સારો સંદેશ આપવામાં સફળ રહ્યો છે. આનાથી ઘાટીના લોકોને અહેસાસ થયો છે કે સરકાર સાચે જ કાશ્મીર ખીણમાં શાંતિ સ્થાપવા માંગે છે. જોકે, પાકિસ્તાનની મદદ લઈને કેટલાક લોકો ઘાટીમાં શાંતિ ભંગ કરવાની કોશિશ કરી રહ્યા છે. ઈદના સમય પર પત્રકાર અને સૈનિકની હત્યા કરીને દહેશત ફેલાવવાના આતંકીઓના પ્રયાસે સરકારને વધારે સખ્ત કરી હતી.
એવું લાગી પણ રહ્યું હતું કે મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં કોઈ મોટો ફેસલો લઇ શકે છે. આ મુદ્દે ભાજપના અધ્યક્ષ અમિત શાહે જમ્મુ-કાશ્મીર સરકારમાં શામેલ પાર્ટીના મંત્રીઓ અને કેટલાક વરિષ્ઠ નેતાઓને મંગળવારે નવી દિલ્હી પણ બોલાવ્યા હતા.
મહત્વનું એ છે કે પાર્ટીની હાઈ કમાન દ્વારા કરવામાં આવલા ફેસલાની રાજ્યમાં પાર્ટીના મંત્રીઓને પણ ખબર નહતી. આ બેઠક પહેલાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની એમના ઘરે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં શાહ અને ડોભાલ વચ્ચે જમ્મુ-કાશ્મીરની તાજેતરની સ્થિતિ તથા અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની આશંકા વિશે વાતચીત થઇ હતી.
મંગળવારે જમ્મુ-કાશ્મીર સરકારમાંથી સમર્થન પાછુ ખેંચવાના એલાન પહેલા ભાજપના નેતાઓ દ્વારા એવું કહેવામાં આવતું હતું કે રાજ્ય સરકારને કોઈ ખતરો નથી અને ગઠબંધન બની રહેશે. ભાજપના જમ્મુ-કાશ્મીર પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાનું કહેવાનું હતું કે આ બેઠક 2019ની લોકસભા ચુંટણીને લઈને બોલાવવામાં આવી છે. એના થોડા સમય બાદ જમ્મુ-કાશ્મીરના પાર્ટી પ્રભારી રામ માધવ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પાર્ટી ગઠબંધન તોડી રહી છે. આ ફેસલો બધા માટે ચોંકાવનારો હતો.