અમદાવાદ: ગાંધીનગરના લપકામણ ગામના ઠાકોર પરિવારના ચાર સભ્યોએ નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી લેવાનો બનાવ બન્યો છે. આ બનાવ પાછળ પરિવારનો મોભી બીમારીથી પીડાતો હોવાથી આર્થિક સંકડામણ અનુભવતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું તેમની પાસેથી મળી આવેલી ચિઠ્ઠીમાંથી જાણવા મળ્યું છે.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના લપકામણ ગામે રહેતા વિષ્ણુ ઠાકોર નામનો યુવાન છેલ્લા કેટલાક સમયથી ફેફસાની બીમારીથી પીડાતો હતો. જેના કારણે તેના ગળામાંથી લોહી નીકળતું હતું. ઘણાં લાંબા સમયથી સારવાર ચાલતી હોવા છતાં બીમારી દૂર થતી ન હતી.
પોતાની બીમારીના કારણે વિષ્ણુ ઠાકોર કોઈ કામ ધંધો કરવા જી શકતો ન હતો. જેના કારણે ઘરમાં આર્થિક સંકડામણ ઉભી થઈ હતી. જેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. આથી પોતાની બીમારીથી કંટાળી ગયેલા વિષ્ણુ ઠાકોરે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. જે અંગે વિષ્ણુએ પોતાની પત્ની સંગીતાને જણાવી હતી. આથી સંગીતાએ તેને કહ્યું હતું કે, તમે આત્મહત્યા કરી લેશો તો અમારું શું થશે? અમે પણ સાથે મરી જઈએ.
આ પછી વિષ્ણુ ઠાકોર (ઉ.વ. ૩૫) આજે સવારે આઠેક વાગે તેની પત્ની સંગીતા (ઉ.વ. ૩૧), પુત્ર જનક (ઉ.વ. ૫) અને પુત્રી જાનુ (ઉ.વ. ૮)ની સાથે ઘરેથી નીકળ્યા હતા. ત્યાર બાદ અડાલજ નજીક આવેલ જમીયતપુરા ગામ પાસેની નર્મદા કેનાલ ખાતે ગયા હતા. જ્યાં તેમણે ચારેય જણાએ સાથે મળીને કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી.
આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા તુરંત ફાયરબ્રિગેડના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને વિષ્ણુ ઠાકોર અને તેના પરિવારના સભ્યોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ બનાવ અંગે પોલીસે પણ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિષ્ણુ ઠાકોરના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી પણ કાઢી હતી. જેમાં તેમણે બીમારીના કારણે આ પગલું ભર્યું હોવાનું લખ્યું હતું.