ઇન્ડોનેશિયાના સોરોન્ગમાં મગરમચ્છે એક સ્થાનિકને મારી નાખતા ગુસ્સે ભરાયેલી ભીડે 300 મગરમચ્છો નો ખાત્મો બોલાવી દીધો હતો.
શનિવારે પપુઆ વિસ્તારના એક વ્યક્તિ પોતાના પશુઓને ખાવા માટેનો ચારો લેવા મગરના ખેતરો માં ગયા હતા. જ્યાં તેઓ પડી ગયા અને મૃત પામ્યા હતા. આ મૃત વ્યક્તિની અંતિમયાત્રા બાદ બદલાની ભાવનાથી લોકોએ 300 મગરમચ્છો ની હત્યા કરી નાખી હતી.
મૃત્યુ પામનાર વ્યક્તિ 48 વર્ષીય સુગીતોને એક મગરે પગ પર બચકું ભર્યું હતું ત્યારબાદ ખરાબ રીતે બીજી મગરની પૂંછડી પર પટક્યા હતા. અહીં મગરોને સુરક્ષિત પ્રજાતિ હેઠળ ગણવામાં આવે છે.
સુગીતોના સંબંધીઓ અને સ્થાનિકોએ મગરના ખેતરો રહેણાંક વિસ્તારની નજીક હોવાથી ગુસ્સે ભરાઈને પોલીસ સ્ટેશન સુધી મોરચો કાઢ્યો હતો.
સ્થાનિક સંરક્ષણ એજન્સીના પ્રમુખ બસ્સર માનુલંગે જણાવ્યું કે ખેતર દ્વારા રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.
તેમ છતાં મોટી સંખ્યામાં આવેલી ભીડ ને સંતોષ થયો નહતો, અને મગરના ખેતર માં જઈને ચાકુ અને પાવડાથી લગભગ 292 મગરોનો ખાત્મો બોલાવી દીધો હતો.
પ્રશાસન દ્વારા કહેવામાં આવ્યું કે તેઓ તપાસ કરી રહ્યા છે અને કદાચ ફોજદારી ગુનો પણ દાખલ કરવાંમાં આવશે.
પાપુઆના સોરોન્ગ જિલ્લાના પોલીસ વડા દેવા મડે સિડાન સુતરાહનાએ જણાવ્યું કે હાલમાં અમે સાક્ષીઓની પુછપરછ કરી રહ્યા છીએ.