સુરેન્દ્રનગર.
વિશ્વ વિખ્યાત સુરેન્દ્રનગર ભાતીગળ તરણેતર મેળાનો પ્રારંભ તા. 12 મી સપ્ટેમ્બરનાં રોજ સવારે 10-00 કલાકે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનાં શિવપૂજનથી થશે. આ પ્રસંગે રાજયનાં પ્રવાસન, વન અને મહિલા બાળ તથા કલ્યાણ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા દિપ પ્રાગટય કરીને મેળો ખુલ્લો મુકશે.
મંત્રીશ્રીનાં હસ્તે ગ્રામીણ રમોત્સવ તેમજ માહિતી ખાતા દ્વારા ગુજરાતની વિકાસગાથા અને લોકકલા-સંસ્કૃતિની ઝાંખી કરાવતી સુંદર તસ્વીરી પ્રદર્શન કરાવવામાં આવશે. ઉપરાંત અન્ય પ્રદર્શન સ્ટોલોનું ઉદ્દઘાટન કરવામાં આવશે તથા રાત્રે ત્રિનેત્રેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં રાવટીનાં કલાકારો ભજન-સંધ્યા અર્પણ કરશે.
તા. 13 મી સપ્ટેમ્બરનાં રોજ સવારે 10:25 કલાકે પાળીયાદનાં પૂ. વિસામણ બાપુની જગ્યાનાં મહંત શ્રી પ.પૂ. નિર્મળાબા ઉનડબાપુની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ અને શિવપૂજન થશે. રાત્રે 9:30 કલાકે પંચાયતનાં સ્ટેજ ઉપર સુરેન્દ્રનગર માહિતી કચેરી આયોજીત લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.
તા. 14 મી સપ્ટેમ્બરનાં રોજ સાંજે 5:00 કલાકે ગંગા અવતરણ આરતી થશે અને મેળાના મેદાનમાં માટલા દોડ, રસ્સા ખેંચ, સ્લો સાઈકલીંગ, પરંપરાગત રાસ અને હુડા જેવા કાર્યક્રમો યોજાશે. જયારે બપોરે રાસ-ગરબા, દોરડા, છત્રી હરીફાઈ, પાવા હરીફાઈ જેવા કાર્યક્રમ યોજાશે અને રાત્રે લોકડાયરાનો કાર્યક્રમ યોજાશે.
તા. 14 મી સપ્ટેમ્બરનાં રોજ સવારે 11:00 કલાકે રાજયનાં પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેશે અને ગ્રામિણ રમતોત્સવની મુલાકાત લઈ વિવિધ સ્પર્ધાઓનાં વિજેતાઓને ઈનામ વિતરણ કરશે. આ પ્રસંગે સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત પણ રહેશે.