અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ રોડ ઉપર ફૂલ દ્વારા માદક પદાર્થ સુંઘાડી બેભાન કરીને એક યુવાન પાસેથી ૮૦ હજારની સોનાના દાગીનાની લૂંટ કરનાર બે આરોપીઓ આરોપીને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે આ શખ્સો પાસેથી સોનું ખરીદનાર સોનીની પણ ધરપકડ કરી છે.
આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ ૧પ જુલાઈ, ર૦૧૮ના રોજ ધંધૂકાના ખડોળ ગામના રહેવાસી લાખુભાઈ કેશુભાઈ વાળા અરણેજ રોડ ઉપર પોતાની બુલેટ બાઈક લઇને જઇ રહ્યા હતા.
ત્યારે એક સફેદ રંગની કાર લાખુભાઇને ઓવરટેક કરી રોડ પર ઊભી રહી હતી. આ દરમિયાનમાં કારચાલકે લાખુભાઈ પાસે ધોળકાના કલિકુંડ જવાનો રસ્તો પૂછ્યો હતો. કારચાલકે લાખુભાઈને કારની અંદર બેસેલા બાપુના દર્શન કરવા માટે જણાવ્યું હતું.
જેથી લાખુભાઇ જ્યારે કાર પાસે જઇને તેની અંદર જોયું તો તેમાં નાગા બાવા જેવા દેખાતા એક માણસને નમસ્કાર કહ્યું હતું. ત્યારે બાવા જેવા દેખાતા એ શખ્સે લાખુભાઈને કહ્યું હતું કે, તમારી પાસેથી એક રૂપિયો દાન જોઈએ છે તેમ જણાવતાં લાખુભાઈએ એક રૂપિયાની બદલે દસ રૂપિયા તેમને આપ્યા હતા.
આ પછી નાગા બાવા જેવા દેખાતા શખ્સે તેમને જમીનમાંથી એક કાંકરી ઉઠાવીને આપવાનું કહ્યું હતું, જેથી લાખુભાઈએ જમીન પરથી એક કાંકરી ઉઠાવીને તેને આપી હતી. આ પછી બાવા જેવા દેખાતા શખ્સે આ કાંકરી ઉપર ફૂલ મૂક્યું હતું. આ ફૂલને ફરિયાદી લાખુભાઈએ માથે ચડાવતાં જ તેઓ બેભાન થઇ ગયા હતા.
આ પછી લાખુભાઈ જયારે સંપૂર્ણ રીતે ભાનમાં આવ્યા ત્યારે જોયું તો તેમના જમણા હાથમાં પહેરેલી ૧૦ ગ્રામની સોનાની વીંટી તથા ગળામાં પહેરેલી ૩૦ ગ્રામની રુદ્રાક્ષની સોનાની માળા ગાયબ થયેલી હતી. આમ આ બે અજાણ્યા શખ્સો લાખુભાઈને કોઇ માદક પદાર્થ સુંઘાડી રૂ. ૮૦ હજારની મતા લૂંટી નાસી ગયા હતા.
આ અંગે લાખુભાઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી.જે અંગે પોલીસે લાખુભાઈને શકદાર આરોપીના ફોટા બતાવતાં લાખુભાઈ આ બંને શખ્સને ઓળખી ગયા હતા. પોલીસે તપાસ કરતાં બને આરોપીઓ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગણેશપુરા ગામના મદારીનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે આરોપી અરજણ ભરવાડને ઝડપી લીધો હતો, જ્યારે એક ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે બાદમાં આરોપીને તેમજ જેમને સોનાનાં દાગીના વેચ્યા હતા તે સોનીને પણ ઝડપી લીધા હતા.