ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદને ગંભીરતાથી લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના નેતાઓને દોઢ મહિનામાં આંતરિક મતભેદો ભુલીને પક્ષને એક કરવા માટેની ચીમકી ઉચ્ચારી હતી.
માત્ર એટલું જ નહીં, વર્તમાન કોંગ્રેસ પ્રમુખની કામગીરીથી નારાજ રાહુલ ગાંધીએ અગાઉની માફક ચાર ઝોનના ચાર કાર્યકારી પ્રમુખ બનાવવા માટેની સલાહ આપી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સહિતના સિનિયર આગેવાનો છેલ્લા બે દિવસથી દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા.

જેમાં લોકસભાની આગામી ચૂંટણીની સાથે ગુજરાત કોંગ્રેસના માળખા અંગેની વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરિક જૂથબંધી અંગેની અનેક ફરિયાદો રાહુલ ગાંધી સુધી પહોંચી હતી.
જેને લઈને રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓને કડક શબ્દોમાં જૂથબંધી દૂર કરી લોકસભાની ચૂંટણીમાં એક થઈને લડવાની સૂચના આપી હતી.
