ગાંધીનગર,
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ગુરૂવારે એક પત્ર લખીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. તેમણે આ રાજીનામું વ્યક્તિગત કારણસર આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ વાઘેલા હજુ તો જુલાઈ મહિનામાં જ ભાજપમાં જોડાયા હતા. માત્ર 3 મહિના સુધી પાર્ટી સાથે જોડાઈ રહ્યા બાદ તેમણે અચાનક રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
મહેન્દ્રસિંહના નજીકના લોકોનું માનીએ તો ભાજપનું મોવડી મંડળ તેમની વાતો પર બહુ ધ્યાન આપતું નહોતું…અને તેમની ઉપેક્ષા કરવામાં આવી રહી હતી.
જેથી મોવડી મંડળના આવા વલણથી તેઓ નારાજ હતા અને તેને કારણે તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તો બીજી તરફ એવી પણ વાત સામે આવી છે કે મહેન્દ્રસિંહના ભાજપમાં જોડાવાથી તેમના પિતા શંકરસિંહ વાઘેલા નારાજ હતા અને કદાચ પિતાની નારાજગી દૂર કરવા માટે પણ તેમણે આ પગલું લીધું હોઈ શકે છે…