નવી દિલ્હી,
દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. લાંચ કાંડમાં ફસાયેલી તપાસ એર્જ્ન્સી CBIના ટોચના બે અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ચાલી રહેલા ધમાસાણનો મામલો હવે કોર્ટ સુધી પહોંચી ચુક્યો છે.
બંને અધિકારીને લીવ પર મોકલી દેવામાં આવ્યા છે અને સીબીઆઈમાં તેમની ઓફિસને સીલ મારી દેવામાં આવી છે. જોઈન્ટ ડાયરેક્ટર નાગેશ્વર રાવને હવે વચગાળા ડાયરેક્ટર બનાવી દેવામાં આવ્યા છે. નાગેશ્વર રાવ આ બંને અધિકારીઓની ગેરહાજરીમાં સીબીઆઈના મહત્વના કેસની દેખરેખ રાખશે.
કોણ છે નવા વચગાળા ડાયરેક્ટર ?
આઈઆઈટી મદ્રાસમાં ભણી ચુક્યા છે
એમ નાગેશ્વર રાવ મૂળ તેલંગણાના રહેવાસી છે. તેમણે ઓસ્માનિયા યુનિવર્સીટીમાં કેમેસ્ટ્રીમાં માસ્ટર ડીગ્રી હાંસલ કરી છે. એટલું જ નહી પરંતુ તેઓ આઈઆઈટી મદ્રાસમાં પણ ભણી ચુક્યા છે. આઈઆઈટીમાં અભ્યાસ કરતી વખતે તેઓ સાથે-સાથે સિવિલ સર્વિસ પરીક્ષાની પણ તૈયારી કરતા હતા.
આ વર્ષમાં બન્યા હતા આઈપીએસ
વર્ષ ૧૯૮૬માં તેઓ આઈપીએસ બન્યા હતા. તેઓ ઓરિસ્સામાં કેડરના અધિકારી છે. નાગેશ્વર રાવ વર્ષ ૨૦૧૬માં CBIમાં આવ્યા હતા, ત્યારથી તેઓ એડિશનલ ડીરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
હાલ સીબીઆઈ નંબર ૧ અને ૨ વચ્ચે ચાલી રહેલી લડતના કારણે નાગેશ્વર રાવને વચગાળા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
અત્યાર સુધી જોરદાર કામગીરી બદલ ઘણા પુસ્કાર મળ્યા છે
પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ચીટફંડ ગોટાળાની તપાસ મામલે નાગેશ્વર રાવને અત્યાર સુધી ઘણા પુસ્કાર મળી ચુક્યા છે. જેમાં રાષ્ટ્રપતિ પુરષ્કાર, ઓરિસ્સા રાજ્યપાલ અને સ્પેશ્યલ ડ્યુટી મેડલ મહત્વના છે.
એમ નાગેશ્વર રાવને સખ્ત અને જાબાજ અધિકારી માનવામાં આવે છે. ઓરિસ્સામાં તેમની પ્રથમ પોસ્ટીંગ દરમિયાન તેમણે ગેરકાયદેસર ખનન પર લગામ મૂકી પોતાની એક અલગ ઓળખ બનાવી હતી.