ભાવનગર,
ભાવનગરના નારી ગામમાં છેલ્લા ૧૨ થી ૧૫ દિવસમાં ત્રણ લોકોના કોઈ ભેદી રોગના કારણે મોત નીપજતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.
ગઈકાલે સાંજના સમયે એક ૧૯ વર્ષીય યુવકનું ચાનક નામની કોઈ બીમારી લાગુ પડતા તેને તાકીદે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલ તંત્ર દ્વારા તેના વિવિધ રીપોર્ટ માટે સેમ્પલો મોકલવામાં આવ્યા હતા.
જો કે રીપોર્ટ આવે તે પહેલા જ આ યુવકનું મોત નીપજયું હતું, તેમજ આ પહેલા એક મહિલા સહીત બે લોકોના મોત નીપજ્યા હતા. જેને લઈને ગામલોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ત્રણ લોકોના અચાનક મોત અને આરોગ્ય તંત્ર દ્વારા આ અંગે કોઈ ખુલસો નહિ આપતા તેમજ ગામમાં કોઈ આરોગ્યલક્ષી કામગીરી નહી કરતા ગામલોકોમાં રોષ જોવા મળ્યો હતો.
બાદમાં મિડીયામાં અહેવાલ પ્રસારિત થતાં આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું અને મનપાના તેમજ જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીઓ તેમની ટીમ સાથે નારી ગામ પહોચી જઈ ત્રણેય મૃતકોના ઘેર જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી, તેમજ ગામમાં સફાઈ સહિતની કામગીરી હાથ ધરી હતી. તેમજ સમગ્ર ગામમાં આરોગ્યની ટીમ દ્વારા ઘેર ઘેર જઈ આરોગ્ય લક્ષી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
