અમદાવાદ,
અમદાવાદની સેસન્સ કોર્ટે સગીરાની જોડે શારીરિક અડપલાંના કેસમાં ગુનો સાબિત ન થતા એક આરોપીને નિર્દોષ છોડી મુક્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ ૨૦૧૭ માં શાહ આલમ વિસ્તારમાં રહેતા આરોપી મોહમ્મ્દ અક્રમ શેખે ૧૪ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને તેને અમદાવાદ થી ટ્રેનમાં બેસાડીને ઇન્દોર લઇ ગયો હતો. આરોપીએ ત્યારબાદ તેની જોડે શારીરિક અડપલા અને ચેનચાળા કર્યા હતા. આ અંગેની ફરિયાદ સગીરાના માતા પિતાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. પોલિસે તપાસ બાદ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા બાદ સરકારી વકીલ નિલેશ લોધાએ પોતાની દલીલો કોર્ટમાં રજૂ કરી હતી. તેની દલીલ સામે બીજી તરફ બચાવ પક્ષના વકીલ જુનેદ શેખે પણ પોતાના અસીલનો બચાવ કર્યો હતો. કોર્ટ દ્વારા આ કેસમાં કુલ ૬ મૌખિક પુરાવા અને ૧૬ દસ્તાવેજી પુરાવા તપાસવામાં આવ્યા હતા. પરંતુ, કોર્ટને આરોપીની સામેનો ગુનો સાબિત થાય તેવા પુરાવા કેસમાં ન દેખાતા કોર્ટે અંતે આરોપીને કેસમાંથી મુક્ત કર્યો હતો.