પોરબંદર,
પોરબંદર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. પોરબંદરમાં નોંધપાત્ર મતદારો ધરાવતા ખારવા સમાજે આજે ભાજપને સમર્થન આપતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે.મુખ્યમંત્રીએ ખારવા સમાજના પ્રશ્રોનું નિરાકરણ લાવવાની ખાત્રી આપતા ખારવા સમાજે ભાજપને ટેકો જાહેર કર્યુ છે. અહી કોંગ્રેસમાંથી લલીત વસોયા અને ભાજપમાંથી રમેશ ધડુક વચ્ચે જંગ જામ્યો છે. ત્યારે આ બેઠક પર ખારવા સમાજના મત સૈાથી નિર્ણાયક બને છે. ત્યારે આજે પોરબંદર ખારવા સમાજે ભાજપને સમર્થન જાહેર કરતા કોંગ્રેસને મોટો ફટકો પડયો છે.
ખારવા પંચાયત મઢી ખાતે ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ અને આગેવાન રણછોડભાઈ શીયાળાની ઉપસ્થિતી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પોરબંદર રાજપુત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, રમેશભાઈ ધડુકના પુત્ર સાવન સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં મીટીંગ યોજવામાં આવી હતી. ખારવા સમાજના માછીમારોના જે પ્રશ્રો છે તેનું નિરાકરણ લાવવાની ખાત્રી મુખ્યમંત્રીએ આપતા ખારવા સમાજે ભાજપને વિધિવત રીતે સમર્થન જાહેર કરી દીધુ હતુ.
આપને જણાવી દઈએ કે થોડા દિવસો પૂર્વ પોરબંદરમાં મુખ્યમંત્રી વિજય રુપાણીની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સ્થાનિક ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા સામે ખારવા સમાજે નારાજગી વ્યકત કરી અને સભામાં રેલી સ્વરૂપે જવાનો કાર્યક્રમ રદ કર્યો હતો. સ્થાનિક ભાજપના આગેવાનો સાથેના મનદુ:ખ બાદ આજે ખારવા સમાજની મઢી ખાતે મળેલી મીટીંગમાં ખારવા સમાજે વિધિવત રીતે ભાજપને સમર્થન આપ્યુ હતુ. અને ખારવા સમાજના આગેવાને એવુ જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીએ ખારવા સમાજના પ્રશ્રોના નિરાકરણની ખાત્રી આપતા હવે સમસ્ત ખારવા સમાજ ભાજપ તરફી મતદાન કરશે.
