ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને સારી સારવાર મળે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે તંત્રની ઉડાસિનતાને કારણે દર્દીને યોગ્ય સારવાર અને સુવિધા નહી મળતી હોવાની ફરીયાદો પણ હવે જાણે ઉઠી રહી છે. તમને જણાવી દઇએ કે, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પાણીની સમસ્યા વચ્ચે ઉનાળાની કાળઝાળ ગરમીમાં દર્દીઓને પંખાની પણ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. જેના કારણે સિવિલમાં દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા છે.
હોસ્પિટલ સી2 વોર્ડમાં પંખાનાં અભાવે ઉનાળાની આકરી ગરમીમાં દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કેટલાક દર્દીઓનાં પરિવારજનો ઘરેથી પંખા લઇને આવી રહ્યા હોવાનુ પણ જાણવા મળ્યુ છે. દર્દીઓનાં પરિવારનાં સભ્યને જ્યારે પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, આટલી આગ ઝરકતી ગરમીમાં પણ હોસ્પિટલનાં વોર્ડમાં પંખાની સુવિધા નથી. જે બેડ પર પંખા છે પણ તે ચાલતા નથી, ત્યારે ઘરેથી પંખો લાવવા અમે મજબૂર બન્યા છીએ.