શ્રીલંકાનાં વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે અને ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરી. ત્યારબાદ તેમણે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. પત્રકાર પરિષદ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને શ્રીલંકા નજીકનાં પાડોશી તેમજ નજીકનાં મિત્રો છે. આપણા ક્ષેત્રમાં આતંકવાદ એ એક મોટી સમસ્યા છે, આપણે બંનેએ તેનો અડીગ રહીને સામનો કર્યો છે. અમે આતંક વિરુદ્ધ અમારા સહયોગને વધારીશું.
પીએમ મોદીએ કહ્યું કે, આજની વાર્તાલાભમાં અમે શ્રીલંકામાં સંયુક્ત આર્થિક પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી હતી, અને વધતા વેપાર અને રોકાણ સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી. અમે લોકોથી લોકોનો સંપર્ક વધારવા અને પર્યટનને પ્રોત્સાહિત કરવાની પણ ચર્ચા કરી હતી. શ્રીલંકાનાં વડા પ્રધાન સાથે વાત કર્યા પછી મોદીએ કહ્યું કે, શ્રીલંકાની સ્થિરતા, સલામતી, સમૃદ્ધિ ભારતની સાથે સાથે હિંદ મહાસાગર ક્ષેત્રનાં પણ હિતમાં છે.
શ્રીલંકાનાં વિકાસમાં ભારત વિશ્વસનીય ભાગીદાર રહ્યું છે, ગયા વર્ષે જે નવી લોન સુવિધાની ઘોષણા કરવામાં આવી હતી, જે વિકાસમાં સહયોગને વધુ ગહન કરશે. પીએમ મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે શ્રીલંકાની સરકાર એકીકૃત શ્રીલંકામાં સમાનતા, ન્યાય અને શાંતિ માટેની તમિલ લોકોની આશાઓને સમજશે.
શ્રીલંકાનાં વડા પ્રધાન રાજપક્ષે સાથે વાતચીત બાદ મોદીએ કહ્યું હતું કે, “માછીમારોનાં મામલાને પહોંચી વળવા અમે માનવતાવાદી અભિગમ લેવાનું નક્કી કર્યું છે.” વળી શ્રીલંકાનાં વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે કહ્યું કે, હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સરકારની પડોસી પહેલે નીતિ અને શ્રીલંકાને આપેલી પ્રાધાન્યતા બદલ આભાર માનું છું. તેમણે કહ્યું, અમારી વાટાઘાટોનો મુખ્ય મુદ્દો બંને દેશોની સુરક્ષાનો હતો, આતંકવાદ સામેની લડતમાં ભારતે હંમેશા અમને મદદ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.