કેરોના વાયરસ વિશે દૈનિક માહિતીને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, હવે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ 5 ટકાથી ઓછા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગુરુવારે સવાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસો 443303 થયા છે જે દેશમાં અત્યાર સુધીના કુલ કોરોના કેસમાં માત્ર 4.94 ટકા જ છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 89,58,483 કોરોના વાયરસના કેસ નોંધાયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં કોરોના વાયરસના 45576 નવા કેસ નોંધાયા છે, સક્રિય કેસમાં 3502 નો ઘટાડો થયો છે અને કોરોનાથી 48493 લોકો સાજા થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 8383602 લોકો કોરોના વાયરસથી સંપૂર્ણપણે સાજા થયા છે.
કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની વાત કરીએ તો આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોનાને કારણે 585 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી, દૈનિક મૃત્યુઆંક 500 ની નીચે હતો, પરંતુ ગુરુવારે આ આંકડો ફરી 500 ને વટાવી ગયો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાને કારણે થતાં મૃત્યુમાં વધારો થયો છે, બુધવારે દિલ્હીમાં કોરોનાને કારણે રેકોર્ડ 131 લોકોનાં મોત નીપજ્યાં, જેના કારણે રાષ્ટ્રીય સ્તરે મોતની સંખ્યામાં વધારો થયો છે.
સરકાર દ્વારા કોરોના દર્દીઓની ઓળખ માટે સતત પરીક્ષણ વધારવામાં આવી રહ્યું છે. દેશભરમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના પરીક્ષણો લેવામાં આવે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, બુધવારે દેશભરમાં 10.28 લાખથી વધુ કોરોના પરીક્ષણો લેવામાં આવ્યા છે અને દેશમાં કુલ પરીક્ષણનો આંકડો 12.85 કરોડને પાર કરી ગયો છે.