@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
સામાન્ય નાગરિકને કોરોનાથી બચવા માટે ફરજીયાત માસ્ક પહેરવું અને એકબીજાથી થોડુંક સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ તેવી ગાઇડલાઇન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. ફોર વહીલની અંદર પણ માત્ર એક વ્યક્તિ જો બેસીને કાર ડ્રાયવ કરી રહી હોય તો તેણે પણ ફરજીયાત માસ્ક પહેરવું જ પડશે તેવું જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પણ પાડવામાં આવ્યું છે. જેમાં નિયમોનો ઉલ્લઘન કરનારની સામે 1000/- રૂપિયાની દંડની રકમ વાળો મેમો અથવા જાહેરનામા ભંગની ફરિયાદ નોંધવાની જોગવાઈ છે.
પોલીસ જવાનોને તેમના ઉચ્ચ અધિકારીઓની તરફથી મોટી જવાબદારી સોંપાઈ છે કે જેટલા બની શકે તેટલા લોકોના મેમો ફાડવા અને લોકોને દંડ ફટકારીને તેમને કાયદાનો ભાન કરાવવો. જેથી લોકો કાયદાના બીકથી પણ માસ્ક પહેરતા થાય જેથી કોરોનાનું સંક્ર્મણ ફેલાતું અટકાવી શકાય.
પરંતુ, લોકોને જાણે પોતાની જીદ્દ ઉપર જ અટલ રહેવું હોય તેમ માસ્ક પહેરવું નથી અને માસ્ક પહેર્યા વિના વાહન ચલાવું છે અને જયારે આવા ઈસમો પોલીસના હાથે પકડાઈ જાય છે ત્યારે તેઓ પોલીસ સાથે જિબાજોરી કરે છે.
આવો જ એક બનાવ અમદાવાદના નહેરુબ્રિજ પાસે ગઈ કાલે બન્યો હતો. જેમાં એમ ડિવિઝનનો ટ્રાફિક સ્ટાફ રોડ પર વાહન ચેકિંગમાં ઉભા હતા ત્યારે જીજે 01 ટીએ 0758 નંબર વાળી ઓટો રિકશા ત્યાંથી પસાર થતા તેના વાહનચાલકે મોઢા પર માસ્ક પહેર્યું નહતું. જેથી પોલીસે તે રિક્ષાને અટકાવીને વાહનચાલકને દંડ ભરવાનું કહેતા વાહનચાલક અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. અને તેણે પોલીસ જવાનો સાથે ઝઘડો કરીને આવેષમાં આવીને કહ્યું હતું કે ” હું દંડ નહીં ભરું, તમારાથી થાય એ કરી લો, હું બધાને જોઈ લઈશ.”
રીક્ષા ચાલકે પોતાની તમામ હદો વટાવીને પોલીસ પર આક્ષેપ લગાડવા માટે પોતાની પત્નીનો ઉપયોગ કર્યો હતો. પત્નીને કહ્યું હતું કે ” તું તારા કપડાં ફાડી નાખજે અને કહેજે કે પોલીસ વાળાએ મારી ઈજ્જત પર હાથ નાખ્યું છે.” રિક્ષાચાલકની હરકતો જોઈને પોલીસ જવાનોએ તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી.
એમ ડિવિઝનના ટ્રાફિક જવાન મહેન્દ્રસિંહ નટુભાઈ એ રીક્ષા ચાલક નવીન દંતાણી વિરુદ્ધ પોલીસની કામગીરીમાં રુકાવટ બદલની ફરિયાદ નોંધાવી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…