ભરલે આર્થિક સર્વેક્ષણ રીપોર્ટ કહેતો હોય કે ભારતમાં ગ્રેથ રેટ 11.5 ટકા સુધીનો થશે. ભલે IMF કે વિશ્વ બેંક કહે કે ભારતનું અર્થતંત્ર આગામી દિવસોમાં છાપરા તોડ વધારો કરતું જોવામાં આવશે….પરંતુ થશે અને આવશે તે શબ્દો મહત્વનાં છે અને હાલતો દેશભરમાં અર્થતંત્ર અર્થ વિનાનું જોવામાં આવી રહ્યું છે. હવે અર્થતંત્ર અને મંદી વિશે કોઇ દલીલો હાલના તબક્કે તો આપવાની જરુર રહેતી નથી, કારણ કે આપણે સૌ આજ દેશમાં રહીએ છીએ અને બજાર અને બજારમાં રોકડની પ્રવાહ વિશે જાણીએ જ છીએ.
આમ તો ભારત સરકાર અને નાણાં મંત્રાલય કોરોના કાળ પહેલાનાં લાંબા સમયથી મંદી અને પાટા નીચે ઉતરી ગયેલી અર્થતંત્રની ગાડીને પાટે લાવવા માટે મથી રહી હતી. દેશમાં લિક્વિડેશનનો અભાવ(બજારમાં રોકડ રુપે ફરતા પૈસા), બેરોજગારીનો સૌથી ઉંચો ઐતિહાસીક દર વિગેરે વિગેરે લાંબા લિસ્ટમાંથી સરકાર બહાર આવવા હાથ પગ પછાડી રહી હતી. અને આમા પણ ઘટતું હોય તેવી રીતે કોરોનાએ એન્ટ્રી મારી. જે ચાલુ હતું તે પણ બંધ થઇ ગયું. મોંધવારી અને મંદી બનેએ પ્રગતીનાં શિખરો સર કર્યા અને પ્રજાને “હરખનાં આસુ” લાવી દીધા. માંડ રોજગાર અને વેપાર ધંધા ચાલુ થઇ પાટાની આસપાસ આવ્યા છે અને પાટે ચડવાની કોશિશ કરી રહ્યા છે, ત્યાં તો પડતા ઉપર રોજ કોઇ નવુ પાટું આવી જાય છે અને પાટે ચડવા મથતા ઉદ્યોગોની પહોંચમાંથી પોટો દુર નીકળી જાય છે. આવુ જ ફરી થયું હોવાનું સામે આવી રહ્યું છે.
ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં વધારો કર્યો છે. આમતો ગેસનાં ભાવમાં વધારો અનેક લોકોને અને ધંધા રોજગારને અસર કરશે જ, પરંતુ ખાસ કરીને ભરુચ, સુરત, અંક્લેશ્વર અને મોરબી જેવા ઇન્ડસ્ટ્રીયલ હબની તો કમર તોડવા માટે પણ સક્ષમ હોય તેટલો વધારો છે. જી હા, ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટ 5.30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે 1 ફેબ્રુ.થી સીરામિક ઉદ્યોગમાં ભાવ વધારો લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, દોઢ માસમાં બીજી વખત ગેસના ભાવમાં વધારો થયો છે. રૂ. 29.80 ભાવ હતો જે હવે વઘારા બાદ નવો ભાવ રૂ. 35 થશે.
પહેલેથી જ મંદીનો માર ખાઇને કથળેલી હાલતમાં ઉભેલ સીરામિક ઉદ્યોગમાં ફરી ભાવ વધતા સાથે બોજો વધશે અને કહી શકાય કે અસહ્ય બનશે. એક સર્વે પ્રમાણે અંદાજીત સીરામિક ઉદ્યોગ પર રોજનો 3.95 કરોડનો બોજો વધશે. ગેસનાં ભાવમાં વધારાને કારણે કિંમતો ઉચકાશે અને ઇન્ટરનેશનલ માર્કેટ પર પણ ફટકો પડશે. વોલ ટાઇલ્સના યુનિટ મંદીનો માર સહન કરી રહ્યા છે, ત્યારે ભાવ વધારો થતાં વોલ ટાઇલ્સના યુનિટો મુશ્કેલીમાં મુકાઇ જશે અને ભાવિ પણ ડામાડોળ થઇ જશે તેવા ચોક્કસ છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…