ઉનાળો શરુ થતાની સાથે જ સૌરાષ્ટ્રમાં પાણીના પોકાર ઉઠવાના શરુ થઇ જાય છે. ખાસ કરીને રાજકોટમાં પાણીની સમસ્યા વર્ષો જુની છે પરંતુ આ વખતે રાજકોટવાસીઓને પાણીની સમસ્યા નહીં નડે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સૌરાષ્ટ્ર વિસ્તાર માટે સૌની યોજના દ્ધારા સિંચાઇ અને પીવાના પાણી પુરુ પાડવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારે નર્મદાનું કુલ 4000 એમ.સી.એફ.ટી. પાણી સૌની યોજના મારફતે પીવાના પાણી અને પૂરક સિંચાઇ માટે છોડવાનો નિર્ણય કર્યો છે.
સૌની યોજના અંતગર્ત મચ્છુ-2 જળાશય ખાતે મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાના જળાશયો, તળાવો અને ચેકડેમો માટે 1 એપ્રિલથી 15 દિવસ માટે પાણી છોડવામાં આવશે. આજે રીતે તારીખ 8 એપ્રિલથી 20 દિવસ માટે ગોમા-સુખભાદર પાઇપલાઇન માટે તથા બોટાદ જિલ્લાના તળાવો-ચેકડેમો ભરવા માટે નર્મદા યોજનાની બોટાદ કેનાલ મારફતે પાણી છોડાશે. તો 26 માર્ચથી 12 દિવસ માટે ધોળીધજા જળાશય ખાતે સુરેનદ્રનગર અને રાજકોટ જિલ્લાના જળાશયો, તળાવો અને ચેકડેમો ભરવા માટે પાણી છોડાશે.
આ ઉપરાંત, 20 માર્ચથી 47 દિવસ માટે લીંબડી ભોગાવો (વડોદ જળાશય) માટે સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી અને જુનાગઢ જિલ્લાના જળાશયો, તળાવો અને ચેકડેમો ભરવા તથા ભાવનગર શહેરના બોર તળાવને ભરવા માટે પાણી છોડવામાં આવશે.
