કોરોનાના કહેર વચ્ચે મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી અને પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ૧૧ વોર્ડની ચૂંટણીનો કાર્યક્રમ લોકશાહીના રક્ષણના દાવા સાથે જાહેર
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
પશ્ચિમ બંગાળ અને આસામ તેમજ દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળ અને પોંડિચેરીમાં ચૂંટણીપ્રચાર પુરજોશથી ચાલે છે. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં મળેલા વિજયની ઉજવણી અને પદાધિકારીઓનું પદગ્રહણ પણ બરાબર ચાલી રહ્યું છે. તેવે સમયે અમદાવાદમાં ક્રિકેટોત્સવ પણ ભૂતકાળમાં સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમના નામે અને હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નવા નામકરણ સાથેના અદ્યતન અને વિશ્વના સૌથી મોટા અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમમાં બે ટેસ્ટ અને પાંચ વન-ડેનો ક્રિકેટોત્સવ પણ યોજાઈ ગયો અને છેલ્લા ૧૦ દિવસથી જાણે કે કોરોનાની બીજી લહેરે ગુજરાતમાં પણ પ્રવેશ કરી લીધો હોય તે જ રીતે કોરોનાના એકટીવ કેસોની સંખ્યા વધી રહી છે. આમ પહેલા દિપોત્સવી ઉજવી પછી ચૂંટણી ઉત્સવ, ત્યારબાદ ક્રિકેટોત્સવ અને લોકોની જિંદગી પર જોખમ ઉભું કરનારા કારમો કોરોના દિવાળી પછીના દિવસોની યાદ કરાવી રહ્યો છે. આ બધા સંજોગો જોતા અન્ય રાજ્યોમાં ચૂંટણી યોજી શકાતી હોય તો પછી ગુજરાતમાં કેમ ન યોજી શકાય તેવી દલીલ સાથે પહેલા કેન્દ્રના ચૂંટણીપંચે દેશના અન્ય આઠ રાજ્યોની ખાલી પડેલી વિધાનસભા બેઠકોની સાથે ગુજરાતની મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થઈ. કેન્દ્રના ચૂંટણીપંચે કાર્યક્રમ જાહેર કર્યો અને અમે કેમ રહી જઈએના સૂત્ર સાથે હવે ગુજરાતના ચૂંટણી પંચે પણ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ૧૮મી એપ્રિલે યોજવાનો કાર્યક્રમ જાહેર કર્યો.
પંચમહાલ જિલ્લાની મોરવા હડફ બેઠક અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ ખાંટના અવસાનના કારણે ખાલી છે. પંચમહાલ જિલ્લાની આ બેઠક વિધાનસભા બેઠકોનું છેલ્લું સીમાંકન બદલાયું તે ૨૦૦૮ બાદ અસ્તિત્વમાં આવેલી બેઠક છે. તેમાં પણ બે તાલુકાઓ અને મોટાભાગના આદિવાસી વિસ્તારો છે. તેથી આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રખાયેલી બેઠક છે. આ બેઠકની પ્રથમ ચૂંટણી ૨૦૧૨ની સામાન્ય ચૂંટણી સાથે યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર સવિતાબેન ખાંટ ૧૦ હજાર કરતાં વધુ મતની સરસાઈથી વિજેતા બન્યા હતાં પરંતુ પરિણામ બાદ તરત બિમાર પડેલા મોરવા હડફના પ્રથમ ધારાસભ્ય સવિતાબેન ખાંટનું અવસાન થયું અને ત્યારબાદ નિયમ પ્રમાણે યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીમીષાબેન સુથાર વિજેતા બન્યા હતા. તેમણે પોતાની બાકી રહેલી ટર્મ પૂરી કરી ત્યારબાદ ૨૦૧૭મા યોજાયેલી ચૂંટણીમાં આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્રભાઈ ખાંટ ૪ હજાર કરતાં વધુ મતે જીત્યા હતા. ૨૦૧૭માં જે બે અપક્ષ ઉમેદવાર ચૂંટાયા હતા તેમાંના એક જિજ્ઞેશ મેવાણી કે જેઓ કોંગ્રેસના ટેકાથી વડનગરની બેઠક જીત્યા હતા તે બીજા મોરવા હડફના ભૂપેન્દ્રભાઈ ખાંટ હતાં જેઓ કોંગ્રેસ સામે બળવો કરી અપક્ષ તરીકે લડી જીત્યા હતાં.
૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસ અને છોટુભાઈ વસાવાની પાર્ટી બીટીપી વચ્ચે જોડાણ થયું અને બેઠકોની સમજૂતીના ભાગરૂપે આ બેઠક બીટીપીને ફાળવાઈ હતી. તેથી જ ભુપેન્દ્રભાઈ અપક્ષ તરીકે લડ્યા અને પોતાના પરિવારનું આ બેઠક પર વર્ચસ્વ છે તે વાત ચૂંટણી જીતીને પૂરવાર કરી બતાવી. આ ચૂંટણીમાં ભાજપ બીજા સ્થાને અને બીટીપી માત્ર આઠ હજાર મત મેળવીને ત્રીજા સ્થાને હતું. જોકે આ બેઠકમાં સ્થાનિક કોંગ્રેસીઓએ ભુપેન્દ્ર ખાંટને મદદ કરી હતી તેવો છોટુભાઈ વસાવાના પક્ષે કરેલો આક્ષેપ ખોટો તો નહોતો જ તેવું વિશ્લેષકો કહે છે.
અમદાવાદમાં છેલ્લા દસ દિવસથી કોરોનાની લહેર શરૂ થઈ છે અને રોજિંદા એકટીવ કેસોની સંખ્યા અઢીસોને વટાવી ગઈ છે. રાત્રિ કફ્ર્યૂ યથાવત છે. બાગબગીચા, મોલ વગેરે બંધ છે. ચાની કીટલી અને દૂકાનોનું પણ ચેકીંગ થાય છે. આ સંજોગો વચ્ચે અમદાવાદથી માત્ર ૩૦ કિલોમીટરના અંતરે આવેલા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર કરાઈ જેનાથી લોકોને આશ્ચર્ય પણ થયું છે અને સાથોસાથ આક્રોશ પણ ઉભો થયો છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીની વાત કરીએ તો તેની પ્રથમ ચૂંટણી ૧૦ વોર્ડ અને ૩૦ બેઠકો સાતે ૨૦૧૧માં યોજાઈ હતી. તેમાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા કબ્જે કરી હતી. પણ આ સત્તા લાંબી ચાલી નહિ અને કોંગ્રેસના મેયર સહિતના ત્રણ કોર્પોરેટરોએ બળવો કરતાં સત્તાપલ્ટો થતાં ત્યાં ભાજપનું શાસન સ્થપાયું હતું. ૨૦૧૬માં યોજાયેલી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બન્ને પક્ષોને ૧૬-૧૬ બેઠકો મળતા ટાઈ થઈ હતી. બંને પક્ષને સરખી બેઠકો મળતા ટાઈ થઈ હતી, પરંતુ તે વખતે કોંગ્રેસના જ એક ચૂંટાયેલા કોર્પોરેટરને પોતાના પક્ષમાં ખેંચીને ભાજપે મેયરપદના ઉમેદવાર બનાવી દીધા અને ભાજપની તાકાત વધતા ૧૭ વિ.૧૫ મત સાથે સત્તા કબ્જે કરી લીધી. હવે ગત ચૂંટણીમાં માંડ માંડ સત્તા કબ્જે કરનાર ભાજપને આ વખતે સરકારી અને તેમાંય ખાસ કરીને સચિવાલયના કર્મચારીઓ અને તેના પરિવારની વધુ વસતિ ધરાવનાર ગાંધીનગરમાં તાજેતરમાં જે નવેસરથી સીમાંકન થયું તે પ્રમાણે ૧૧ વોર્ડ અને ૪૪ બેઠકો છે તેમાં ૨૨ બેઠકો મહિલાઓ માટે અને પાંચ બેઠકો પછાત વર્ગ વગેરે માટે અનામત છે. ૧૮મી એપ્રિલે ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી યોજાશે અને ૨૦મી એપ્રિલે પરિણામ જાહેર થશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ આ ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો ત્યારે કેટલાક પત્રકારોએ ચૂંટણી અધિકારીને પૂછ્યું હતું કે અમદાવાદમાં કોરોના વકર્યો છે ત્યાં આંશિક લોકડાઉન જેવી હાલત છે તેવે સમયે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી કેમ ? ત્યારે અખબારી અહેવાલો અનુસાર ચૂંટણી અધિકારી દ્વારા એવો જવાબ અપાયો છે કે ગાંધીનગરમાં શિક્ષિત મતદારો છે એટલે તકેદારી રહેશે. રાજકીય વિશ્લેષકો આ દલીલને ગેરવ્યાજબી ગણાવે છે. શું અમદાવાદ સહિત બાકીના વિસ્તારોના મતદારો અશિક્ષિત છે ? આ સવાલનો તેમની પાસે કોઈ જવાબ નથી.
ટીવી ચેનલો પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના પ્રવક્તાએ પણ ચૂંટણીનો વિરોધ કર્યો છે પણ હવે ચૂંટણીનો બહિષ્કાર તો ન જ થાય તેવી લાચારી પણ વ્યક્ત કરી. જેમ ભાજપે ચૂંટણીની જાહેરાત પહેલા ગંધીનગરની ચૂંટણી માટે નિરીક્ષકોની ટીમ જાહેર કરી દીધી તેવી જ રીતે આમ આદમી પાર્ટીએ પણ ગાંધીનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનની તમામ બેઠકો આમ આદમી પાર્ટી લડશે તેવી પણ જાહેરાત કરી દીધી. હવે બીજા કેટલા પક્ષો અને અપક્ષો ચૂંટણી જંગના મેદાનમાં ઉતરે છે તે આવતા થોડા દિવસોમાં જ ખબર પડી જશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની મુદ્દત ૬ઠ્ઠી મેએ પૂર્ણ થાય છે તે પહેલા ચૂંટણી યોજવી જ પડે તેવી સ્થિતિ છે. કોરોનાકાળ વચ્ચે પણ બિહાર વિધાનસભા સહિતની ચૂંટણીઓ યોજાઈ જ છે. રાજ્યસભાની ચૂંટણી અને પેટાચૂંટણી પણ યોજાઈ જ છે તેવે સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવામાં વાંધો શું છે ? તેવી દલિલ થાય છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓ કોવિડ-૧૯ની ગાઈડલાઈનના પાલન સાથે યોજાઈ હતી તેવી જ રીતે આ ચૂંટણી પણ કોવિદ ગાઈડલાઈન વચ્ચે જ યોજાશે તેવી જાહેરાત થઈ હતી. પરંતુ ચૂંટણી દરમિયાન અને ચૂંટણી બાદ પણ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતના નિયમોનો ધજાગરો થયો તેના કારણે જ કોરોનાનું પુનરાગમન ગુજરાતમાં થયું છે તેમાંય અમદાવાદ તો કોરોનાના હોટસ્પોટ સમુ છે ત્યારે લોકશાહીની દુહાઈ દઈને અમદાવાદથી મા૬ ૩૦ કિલોમીટરના અંતરે આવેલ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાનું પગલું કેટલું વ્યાજબી છે ? તેનો કોઈ જવાબ મળતો નથી.