બંગાળ ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચે થવાનુ ત્યારે ભાજપ અને ટીએમસી વચ્ચે વાકયુદ્ધ તેજ થઇ ગયું છે. મમતા અને અમિત શાહ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. આજે પુરુલિયામાં એક રેલીમાં મમતાએ કહ્યું કે આજે હું અહિંયા શું કામ આવી છું તમને ખબર છે. મને ઘણી મારવામાં આવી, મારા માથા પર ઇજા છે, કમરમાં, હાથમાં માર મારવામાં આવ્યો છે, પેટમાં મારવામાં આવી છે, આંખ પર ઇજા પહોંચાડવામાં આવી છે, પગ બાકી હતો તે પણ ઝખમી કરી દેવામાં આવ્યો છે.
મમતાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે મારાથી ડરી રહ્યા હતા, વિચારતા હતા કે જો હું ચૂંટણીમાં ફરીશ તો ભાજપ ખરાબ રીતે હારશે, એટલા માટે મમતાનો પગ ઘાયલ કરી દીધો. પરંતુ તેમને ખબર નથી કે મારો એક પગ ઝખમી હોવા છતાં હું પોતાની માતા-બહેનોના પગથી ફરી રહી છું. મા-બહેનોના સન્માનની રક્ષા કરી રહી છું.
પુરુલિયા રેલીમાં મમતાએ કહ્યું કે અમારી સરકારે આ વિસ્તારમાં પાણીની સમસ્યાને દુર કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે જમશેદપુરમાં આદિવાસીઓની જમીન પર ભાજપે કબજો જમાવી દીધો છે.
ભાજપના વાયદા જુઠ્ઠા
મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે ભાજપ ફક્ત જુઠ્ઠા વાયદા કરે છે, શું કોઇને 15 લાખ મળ્યા. ભાજપ મીર ઝાફર અને ડાકુઓની પાર્ટી છે.
અમિત શાહનો જવાબ
બીજી તરફ મેદિનીપુરમાં રોડ શો દરમિયાન અમિત શાહે કહ્યું કે જનતાની ઇચ્છા અનુસાર સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. ઘુસપેઠ મુક્ત બંગાળનો વાયદો કર્યો છે. મમતા બેનરજીએ તેમની ઇજાનો મેડિકલ રિપોર્ટ સાર્વજનિક કરવો જોઇએ.