@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ
સરકારી સિસ્ટમમાં લાંચીયા અધિકારીઓની કોઇ કમી નથી. ખાસ કરીને જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારના અનેક મામલા સામે આવ્યા છે. આવા અધિકારીઓ બેખોફ બનીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે ત્યારે રાજયનું એન્ટી કરપ્શન બ્યૂરો પણ આવા અધિકારીઓને દબોચી લેવા માટે સક્રિય બન્યું છે. આજે એસીબીએ ગોઠવેલા છટકામાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારીઓ ઝડપાઇ ગયા છે. આ અધિકારીઓમાં એક લેડી ઓફિસર પણ છે.
અમદાવાદના આનંદનગર રોડ ઉપર આવેલી સેન્ટ્રલ જીએસટી કચેરીના બે અધિકારીઓને એસીબીએ ટ્રેપ ગોઠવી રંગેહાથ દોઢ લાખ રૂપિયાની લાંચ લેતાં ઝડપી પાડયા હતા. મહત્વનું છે કે ઓનલાઈન રિટેઈલ ફર્નિશિંગનું કામ કરતા વેપારી તેઓનો સામાન એરપોર્ટ કરે છે. ત્યારે ઈમ્પોર્ટ કરેલા સામાન લેવા પર ઇમપોર્ટની ટેક્સ ક્રેડિટના ચૂકવવાના થતા જીએસટી સામે મજરે લેવા બાબતે CGST ના વર્ગ 1 અધિકારી નીતુ સીંગ ત્રિપાઠી તેમજ વર્ગ 2 અધિકારી પ્રકાશ રસાણીયાએ પાંચ લાખની લાંચ માંગી હતી.
રકઝકના અંતે દોઢ લાખ રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. જો કે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં સંપર્ક કર્યો હતો અને એસીબીએ આ મામલે છટકું ગોઠવીને CGST ના જોઇન્ટ કમિશનર નીતુસીહ ત્રિપાઠી તેમજ સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશ રસાણીયાને દોઢ લાખની લાંચ લેતા રંગેહાથ તો ઝડપી લીધા હતા. ત્યારે આ સમગ્ર મામલે એસીબીએ બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.