100 કરોડની વસૂલીના કેસમાં બૉમ્બે હાઇકોર્ટે જેવો નિર્ણય સંભળાવ્યો તેવો જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો. નિર્ણય આવતાની સાથે જ ગૃહમંત્રી અનિલ દેશમુખે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીવામું સોંપી દીધુ. રાજીનામાનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો. પરંતુ બીજી તરફ હવે મહારાષ્ટ્ર સરકાર અનિલ દેશમુખના કિસ્સામાં બૉમ્બે હાઇકોર્ટના આદેશની સામે સુપ્રીમ કોર્ટમાં જશે.
જાણકારી અનુસાર મહારાષ્ટ્ર સરકાર તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી આ કેસ લડશે. તો અનિલ દેશમુખ પણ કોર્ટમાં એક અપીલ દાખલ કરશે. માહિતી મળી છે કે અનિલ દેશમુખ કોંગ્રેસ નેતા પ્રફુલ્લ પટેલને મળવા માટે દિલ્હી નીકળી ચૂક્યા છે.
15 દિવસની અંદર થઇ શકે છે FIR
એવી પણ માહિતી મળી રહી છે કે અનિલ દેશમુખનું રાજીનામુ એવા સમયે થયું છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારની પાસે બીજો કોઇ વિકલ્પ નથી બચ્યો. હાઇકોર્ટના આદેશ બાદ સીબીઆઇ તપાસ શરુ થઇ જશે અને 15 દિવસની અંદર એફઆઇઆર દાખલ થઇ શકે છે. આવામાં જો ગૃહમંત્રી તરીકે અનિલ દેશમુખનું નામ એફઆઇઆરમાં આવે છે તો સરકારની વધુ ફજેતી થશે.
મહત્વનું છે કે 100 કરોડની વસૂલીના કેસમાં મુંબઇના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહ હાઇકોર્ટમાં ગયા હતા. બોમ્બે હાઇકોર્ટે સોમવારે સવારે જ નિર્દેશ આપ્યો હતો કે આ આરોપોની તપાસ સીબીઆઇ કરશે. સીબીઆઇએ આવતા પંદર દિવસમાં એક શરુઆતી રિપોર્ટ આપવો પડશે કે અનિલ દેશમુખ પર FIR રજિસ્ટર થશે કે નહીં.