@ડૉ. જાહ્નવીબેન ભટ્ટ, મંતવ્ય ન્યૂઝ
કોરોનાની બીજી લહેર બહુ જ ખતરનાક સાબિત થઈ છે, આજે પણ ઘણા લોકો સંક્રમણનો સામનો કરી રહ્યા છે, આ રોગનું મહત્વનું લક્ષણ જવર – તાવ છે, સાથે સાથે ક્યારેક ખાંસી, શરદી, ગળામાં ખારાશ વગેરે લક્ષણો પણ જોવા મળતા હોય છે, ઘણીવાર ઋતુગત બદલાવને કારણે પણ ઉધરસની સમસ્યા આવતી હોય છે, આજે આપણે ખાંસી વિશે ચર્ચા કરીશું.
ખાંસીએ શ્વસન તંત્રનો બહુ બળવાન રોગ છે, આ રોગ ક્યારેક સ્વતંત્ર રૂપે તો ક્યારેક બીજા રોગનાં લક્ષણ તરીકે જોવા મળે છે, ક્યારેક શરદી મટી ગયા પછી તો ક્યારેક શરદીની સાથે સાથે જ ખાંસીની જુગલબંધી જોવા મળે છે,
ખાંસી પણ બે પ્રકાર ની હોય છે,
(1) સૂકી ખાંસી
(2) કફ વાળી ખાંસી
આયુર્વેદમાં ખાંસીનાં 5 પ્રકાર બતાવેલા છે, (1) વતાજ (2) પિતજ (3) કફજ (4) ક્ષતજ (5) ક્ષયજ
આ સિવાય હુપિગ કફ,ઓરી, ટી.બી, વગેરે જેવા રોગોમાં પણ ખાંસીનું લક્ષણ જોવા મળે છે. ઉધરસમાં દર્દીને ગળાની અંદર ખાતા પીતા કાંટાની જેમ ખૂંચતું હોય તેવો ભાસ થાય છે, રોગીનો અવાજ પણ ભારે થઈ જાય છે, સાથે સાથે ગળામાં બળતરા કે ખારાશ જેવું લાગે છે, ક્યારેક હળવો તાવ પણ આવી જાય છે, દર્દીને સાધારણ ગભરામણ જેવું પણ લાગે છે, દર્દીને સુસ્તી અને ગભરામણ જેવું પણ લાગે છે, કેટલીક વાર ખાંસીની સાથે સાથે ગળફા પણ પડે છે, ઉધરસ કે ખાંસીનો પ્રકોપ શિયાળામાં વધારે જોવા મળે છે, રાત્રે પણ ઘણીવાર ખાંસીનો પ્રકોપ વધતો જોવા મળે છે., જ્યારે ઘણા દર્દીઓમાં તો ખાંસીનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. સવાર – બપોર- સાંજ કે રાત્રિમાંથી ગમે ત્યારે આ પ્રકોપ જોવા મળે છે, આયુર્વેદ એમ માને છે કે.,જ્યારે શરીરમાં કે છાતીમાં કફ ભરાઈ જાય અને જ્યારે પોતાની જાતે તે બહાર નીકળી શકતો નથી ત્યારે શરીરમાં ખાંસી પેદા થઈ શરીર તે કફને બહાર કાઢવા પ્રયત્ન કરે છે.
ખાંસી માટે નીચેનાં ઉપાયો વૈધની સલાહ મુજબ કરી શકાય: જેમાં
(1) દૂધ માં હળદળ નાખીને ઉકાળી ને પીવું.
(2) દૂધ માં પિપરીમુલ(ગંઠોડા) નું ચૂર્ણ નાખી ઉકાળો બનાવી ને પીવાથી ખાંસી માં રાહત થાય છે.
(3) અરડૂસી અને તુલસી નો રસ મધ સાથે લેવાથી પણ ઉધરસ માં ખૂબ આરામ મળે છે.
(4) લવિંગ નું ચૂર્ણ ૨ ગ્રામ ની માત્રા માં મધ સાથે લેવાથી ખાંસી માં ખૂબ ફાયદો થાય છે.
(5) યાસ્ટીમધુ ઘનવટી કે ખદી રાદી વટી ની ૨-૨ ગોળી સવાર- સાંજ ચૂસવાથી પણ આ રોગ માં ખુબ ફાયદો થાય છે.
(6) જેઠીમધ અને બહેડા નું ચૂર્ણ સમાન ભાગે મિક્સ કરી મધ સાથે લેવાથી સારા પરિણામ મળે છે.
(7) સૂકી ખાંસી હોય તો દશમૂલ કવાથ પાણી સાથે સવાર સાંજ લેવાથી ઉધરસ નો પ્રકોપ ઘટી જાય છે.
ઉપરોક્ત સારવાર ઉપરાંત આ રોગમાં આહારનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, પથ્ય અપથ્યનું ધ્યાન રાખવાથી દરેક રોગો થી ઔષધ સિવાય પણ બચી શકાય છે. આ રોગ માં સૂંઠ, મેથી, કળથી, સુવા, જૂનું અનાજ તેમજ પૌષ્ટિક , હલકું અને ગરમ ભોજન લેવાનો આગ્રહ રાખવો જોઈએ.