દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ… સુરેન્દ્રનગર
વડવાળા મંદિરના ધર્મગુરુ અને દીર્ઘ દ્રષ્ટિ વાળા અધિકારીઓની કુનેહ આખરે રંગ લાવી, કોમી એખલાસ સાથે સોહાર્દ ભર્યું વાતાવરણ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્ય થી વેરના થયા વળામણા…
તાજેતરમાં પાટડી તાલુકાના જેનાબાદ પાસે રબારી માલધારીઓના વાડાઓ અને ઘાસ સળગાવી નાખવાની ઘટના ઘટી હતી. આ ઘટના બાદ સ્થાનિક લઘુમતી લોકો અને માલધારીઓમાં તનાવ ઊભો થતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ વધુ તણાવ ગ્રસ્ત વાતાવરણ ઊભું ન થાય અને શાંતિ ડહોળાય તે પહેલા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ દુધરેજ વડવાળા મંદિર ના મહંત પીઠાધીશ્વર પૂજ્ય કનીરામ બાપુ અને કોઠારી મહંત મુકુંદ રામજી બાપુ પાસે સમાધાન માટે સૌ પ્રથમ પહેલ કરી હતી. પોલીસ વડા બગડીયા ની આ પહેલને સમાધાનની સફળતામાં પરિવર્તિત કરવા પાટડીના પ્રાંત અધિકારી રૂતુરાજ સિંહ જાદવ, ડીવાયએસપી દેવધા અને એલસીબી પીઆઇ દિપક ઢોલે બીડું ઝડપ્યું હતું. સતત બે દિવસ સુધી બંન્ને જ્ઞાતિના આગેવાનો સાથે બેઠકોનો ધમધમાટ યોજયા બાદ આખરે પાટડી પંથકમાં ભાઇચારાનું વાતાવરણ જાળવી રાખવામાં સફળતા સાંપડી છે. દૂધરેજ વડવાળા મંદિરના મહંત સંતો રબારી સમાજના આગેવાન કમશીભાઇ, કનુભાઈ અને જેનાબાદ સ્ટેટ સરપંચ અને મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં સુખદ સમાધાન માટે સર્વસંમતિ સધાઈ છે. આ સમાધાન પછી બંને જ્ઞાતિ વચ્ચે કોઈ વૈમનસ્ય ન ફેલાય અને શાંતિ સોહાર્દ ભર્યું વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ કર્મીઓ સાથે ગામના યુવાનોની સંરક્ષક ટીમ બનાવીને સલામતી બરકરાર રાખવા ની યોજના અમલમાં મુકાઈ છે. આમ ધર્મ ગુરુઓ સંતો-મહંતો અને નેકદિલ અધિકારીઓ અને આગેવાનોના પ્રયાસ થી જૈનાબાદ માં આખરે વેરના વળામણા થયા છે.