જમ્મુ-કાશ્મીરના શ્રીનગર જિલ્લામાં આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. આ હુમલામાં એક પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ થયા છે. કાશ્મીરમાં પોલીસ ઈન્સ્પેક્ટર-કાઉન્ટર ઇન્ટેલિજન્સ તૈનાત હતા.મળતી માહિતી મુજબ શ્રીનગર શહેરની સીમમાં બાગટ કનીપોરામાં મંગળવારે રાત્રે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ ઇન્સ્પેક્ટર શહીદ થયા હતા. તે નમાઝ પઢીને ઘરે પરત ફરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે આતંકીઓએ બાગટ વિસ્તારમાં ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદ દાર પર હુમલો કર્યો. મસ્જિદમાંથી નમાઝ પઢીને ઘરે પરત ફરતી વખતે આતંકીઓએ તેમને નિશાન બનાવ્યા અને ફાયરિંગ કરી દીધી. આમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા.ત્યારબાદ આતંકીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. ઇન્સ્પેક્ટરને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની તુરંત બાદ સુરક્ષા દળના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની માહિતી મેળવી હતી.
આસપાસના વિસ્તારોને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આ સાથે નજીકના મકાનો અને દુકાનોમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે જેથી આતંકવાદીઓની ઓળખ થઈ શકે.