ચિત્રકૂટ,
ચાલુ વર્ષના અંતે મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસારને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશની મુલાકાતે છે.
આ દરમિયાન રાહુલ ગાંધી ચિત્રકૂટ પહોચ્યા હતા અને ત્યાં એક જાહેરસભાને સંબોધી હતી. જો કે આ રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો બોલતા કહ્યું હતું કે, “સરકાર ચીની યુવાનોને રોજગારી આપી રહી છે”.
સરદાર પટેલની મૂર્તિ છે “મેડ ઇન ચાઈના” : રાહુલ ગાંધી
આ ઉપરાંત તેઓએ વડાપ્રધાનના ગૃહરાજ્ય ગુજરાતમાં બની રહેલી દુનિયાની સૌથી મોટી મૂર્તિ અંગે પણ નિશાન સાધતા કહ્યું હતું કે, ગુજરાતમાં બની રહેલી સરદાર પટેલની જે મૂર્તિનું નિર્માણ થવા જઈ રહ્યું છે તે અમારા શર્ટ અને પગરખાની જેમ જ “મેડ ઇન ચાઈના” છે.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “દેશના પ્રધાનમંત્રીએ જનતાનો ભરોષો તોડ્યો છે. તેઓ હવે એ દિવસ જોવા માંગે છે કે, એક ચાઇનીઝ યુવાન સેલ્ફી લે અને ફોનની પાછળ જોઇને વિચારે કે આ ચિત્રકૂટ ક્યાં છે, જ્યાં ફોન બન્યો છે”.
મહત્વનું છે કે, હાલ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશના ચિત્રકૂટના પ્રવાસે છે, ત્યારે તેઓના સ્વાગતમાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં રાહુલ ગાંધીને “રામભક્ત” બતાવવામાં આવ્યા છે.
ચિત્રકૂટ પહોચ્યા બાદ રાહુલ ગાંધીએ કામતાનાથ મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી હતી અને સાથે સાથે સાધુ-સંતો સાથે મુલાકાત પણ કરવાના છે.
આ ઉપરાંત તેઓ પોતાની મુલાકાત દરમિયાન મધ્યપ્રદેશના સતના અને રીવામાં રોડ શો તેમન જાહેરસભાને પણ સંબોધવાના છે.