સચિન પીઠવા, સુરેન્દ્રનગર@મંતવ્ય ન્યૂઝ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદના સ્થાપક ડૉ.પ્રવિણ તોગડિયાએ લીંબડી શહેરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રામ મંદિર માટે ખરીદવામાં આવેલ ભુમિ, મોહન ભાગવત અને આરએસએસની કાર્ય પદ્ધતિ પર તીખાં પ્રહારો કર્યાં હતા.વિશ્વ હિન્દુ પરિષદમાંથી હાંકી કાઢ્યા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદની સ્થાપના કરનાર ડૉ.પ્રવિણ તોગડિયાએ લીંબડીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રામ મંદિર માટે ખરીદેલી ભૂમિ, RSSની કાર્ય પદ્ધતિ પર તીખા પ્રહારો
લીંબડીની મુલાકાતે આવેલા ડૉ.પ્રવિણ તોગડિયાએ આં.રા.હિન્દુ પરીષદના કાર્યકર્તાઓ સાથે ભાવિ અંગે ચર્ચા કરી હતી. ડૉ.પ્રવિણ તોગડિયાએ મોહન ભાગવતે થોડા દિવસો પહેલા આપેલા હિન્દુ-મુસ્લિમનું એક જ DNA છે તે અંગેના નિવેદનની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે કોઈ મુસ્લિમ વ્યક્તિ ક્યારેય આવું બોલ્યો નથી. જો DNA એક હોય તો કાશ્મીરમાંથી હિન્દુઓને મુસલમાનોએ કેમ ભગાડી દીધાં હતા. હું અને મોહન ભાગવત વર્ષ-1989-90માં સાથે હતા. DNA એક હોવાની વાત કરી ગજની, ઔરંગઝેબ, ઘોરી અને દેશના બે ટુકડા કરનાર જીન્નાને માફ કેવી રીતે કરી શકાય. મોહન ભાગવતે જે કહ્યું તે માનીએ તો અકબર, ઔરંગઝેબ, ઘોરીને પૂર્વજ માની ભાદરવા મહિનામાં તેમનું શ્રાધ્ધ નાંખવું પડશે.
રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા ખરીદવામાં આવેલી જમીનમાં મોટું કૌભાંડ થયું હોવા અંગે ડૉ.તોગડિયાએ જણાવ્યું હતું કે આ આરોપ લાગવાથી કરોડો હિન્દુઓના ગૌરવ અને અભિમાનને નુકસાન થયું છે. જમીન જેના કબજામાં હતી તે પાઠક, સુલતાન અંસારી અને આરએસએસના તિવારી એક સાથે બેસીને જમીનનો સોદો કર્યો હતો. પાઠકે અંસારીને 2 કરોડમાં જમીન વહેંચી એ જ જમીન અંસારીએ રામ જન્મભૂમિ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ચંપકરાયે 18.50 કરોડમાં ખરીદી હતી. 2 કરોડની જમીન 18.50 કરોડમાં ખરીદવાનો આરોપ લગાવ્યો છે. સાંભળ્યું છે કે તપાસ ચાલું છે. પણ આવું કશું થતું હોય તેવું દેખાતું નથી.