કેન્દ્રમાં ગુજરાતના ચાર મંત્રીને સ્થાન અપાયું જેમાના એક એટલે સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા. મહેન્દ્ર મુંજપરાને એટલા માટે યાદ કરવા પડયા કેમકે દિલ્હીમાં પહોંચીને પણ તેમણે ગુજરાતની અસ્મિતા અને ખુમારીને જાળવી રાખી. અહીં પ્રશ્ન એ થાય કે કેન્દ્રિયમંત્રી મુંજપરાએ એવું તો શું કર્યું? આ સવાલનો જવાબ મેળવવા આગળ વાંચવું પડશે..
માંડીને વાત કરીએ તો સામાન્ય રીતે દિલ્હીમાં રાજ્યમંત્રીઓને સુરક્ષા વ્યવસ્થા સહિતની વીઆઇપી સગવડો અપાતી હોય છે. આવી જ સગવડો નવનિયુક્ત મંત્રી મહેન્દ્ર મુંજપરાને પણ અપાઈ. તેમને સુરક્ષા માટે નવ કમાન્ડો અને વાહનવ્યવહારના ઉપયોગ માટે બે કાર પણ ફાળવાઈ. પણ આ સગવડ સ્વીકારવામાં જ કેન્દ્રિયમંત્રીએ તેમની સાલસતા અને નમ્રતાનો પરિચય કરાવ્યો. મહેન્દ્ર મુંજપરાએ વીનમ્રતાપૂર્વક કમાન્ડોની સુરક્ષા લેવા ના પાડી. જોકે વાત અહીંથી અટકતી નથી. તેમણે બે કાર પૈકી માત્ર એક જ કારની સગવડ સ્વીકારી અને બીજી કાર માટે પણ ઇનકાર કર્યો. તેમની આ નિખાલસતા દિલ્હીના રાજકારણીઓને સ્પર્શી કે નહીં એ તો નથી ખબર પણ આ ઘટનાથી મુંજપરા મુઠ્ઠી ઊંચેરા માનવી છે એ તો સાબિત થઈ જ ગયું.
વર્ષ 1968માં સુરેન્દ્રનગરમાં જન્મેલા મહેન્દ્ર મુંજપરા ચુવાળીયા કોળી સમાજનું નેતૃત્વ કરે છે. MBBS નો અભ્યાસ કર્યા બાદ સુરેન્દ્રનગરમા જ હોસ્પિટલ શરૂ કરનાર વ્યવસાયે તબીબ એવા મુંજપરા 2019માં સુરેન્દ્રનગર બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં સાત વખતના વિજેતા સોમા ગાંડા પટેલને હરાવી સાંસદ બન્યા. ચૂંટણીમાં સરસાઈ મેળવનાર મુંજપરાએ દિલ્હીમાં અનોખી સૌમ્યતા દર્શાવીને મતદારોના દિલમાં પણ હવે સરસાઈ મેળવી લીધી છે.