તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે CM મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે TMC એ ઝાકીર હુસેનને જંગીપુર વિધાનસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે અને સંસેરગંજથી અમીરૂલ ઇસ્લામના નામની જાહેરાત કરી છે.
30 સપ્ટેમ્બરે મતદાન થશે
પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર સહિત ત્રણ વિધાનસભા બેઠકો માટે 30 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે શનિવારે પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં, પશ્ચિમ બંગાળમાં સમસેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના મૃત્યુના કારણે ચૂંટણી થઈ શકી ન હતી. જ્યારે TMC ધારાસભ્યએ ભવાનીપુર બેઠક પરથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે ત્યાં પણ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્રણેય બેઠકો પર મત ગણતરી 3 ઓક્ટોબરે થશે.
CM મમતાને શુભેન્દુ અધિકારીએ હરાવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણી દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની પરંપરાગત ભવાનીપુર બેઠક છોડીને ચૂંટણી લડવા માટે નંદીગ્રામ ગયા હતા, પરંતુ તેઓ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડનાર શુભેન્દુ અધિકારી સામે હારી ગયા હતા.
અધિકારી હવે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા છે. ભવાનીપુર મતવિસ્તારના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયે આ બેઠક ખાલી કરી જેથી બેનર્જી ચૂંટણીના પરિણામો બાદ ચૂંટણી લડી શકે. બેનર્જી 2011 થી બે વખત ભવાનીપુરથી ચૂંટણી જીત્યા છે.
ભવાનીપુર પેટાચૂંટણી માટે 6 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે, જેની સાથે નામાંકન પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 13 સપ્ટેમ્બર છે, જ્યારે ઉમેદવારી પત્રની ચકાસણી 14 સપ્ટેમ્બરે થશે. ચૂંટણી હરીફાઈમાંથી ખસી જવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર છે. તમને જણાવી દઈએ કે મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદ પર રહેવા માટે 5 નવેમ્બર સુધીમાં રાજ્ય વિધાનસભાના સભ્ય બનવું પડશે.