વિશ્વ હાલ કોરોના જેવી મહામારી સામે લડી રહી છે, હજી સુધી આ વાયરસ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી ત્યારે એક નવી બિમારીએ ઉત્તર કોરિયામાં એક રહસ્યમય તાવનો વાયરસ સક્રીય થયો છે, ઉત્તર કોરિયા આ દિવસોમાં રહસ્યમય તાવ સામે ઝઝૂમી રહ્યું છે. એપ્રિલના અંતથી આ દેશમાં લગભગ 20 લાખ લોકો રહસ્યમય તાવથી પીડિત છે. 12 મેના રોજ, ઉત્તર કોરિયાએ પુષ્ટિ કરી કે તેના દેશમાં પ્રથમ વખત કોરોના વાઇરસ મળી આવ્યો હતો.
આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ ઉત્તર કોરિયાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે ત્યાં જે રીતે કોરોના કેસને હેન્ડલ કરવામાં આવી રહ્યો છે તેનાથી દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટનો ફેલાવો થવાનો ખતરો ઊભો થયો છે.
આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે ઉત્તર કોરિયામાં ફેલાયેલો રહસ્યમય તાવ શું છે? શા માટે તેને કોરોના વાઇરસ સંક્રમણ માનવામાં આવે છે? આખરે, ચીનની જેમ ઉત્તર કોરિયાની બેદરકારી કોરોનાના નવા વેરિયન્ટના ફેલાવાનું કારણ કેવી રીતે બની શકે?
WHOએ માર્ચ 2020માં કોરોના વાઇરસને મહામારી જાહેર કરી હતી. પરંતુ છેલ્લા અઢી વર્ષથી ઉત્તર કોરિયા પોતાની સરહદો સીલ કરીને આ જીવલેણ વાયરસથી સુરક્ષિત હોવાનો દાવો કરતું રહ્યું. પરંતુ આ વર્ષે એપ્રિલના અંતથી, 2.6 કરોડની વસ્તીનો મોટો ભાગ રહસ્યમય તાવથી પીડિત છે.અહેવાલો અનુસાર ઉત્તર કોરિયામાં એપ્રિલથી અત્યાર સુધીમાં 20 લાખ લોકો આ રહસ્યમય તાવથી પીડિત છે. 12 મેના રોજ, ઉત્તર કોરિયાએ અહીં પ્રથમ વખત કોરોના વાયરસના Omicronના ચેપી સબ-વેરિયન્ટ BA.2ની હાજરીની પુષ્ટિ કરી. પરંતુ બહુ ઓછા ટેસ્ટિંગને કારણે તેણે કોરોના સંક્રમિતોની ચોક્કસ સંખ્યા જણાવી ન હતી.
ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયા કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ) અનુસાર, એપ્રિલના અંતથી 20 લાખથી વધુ લોકો તાવના લક્ષણોથી બીમાર થઈ ગયા છે. પરંતુ ટેસ્ટિંગના અભાવને કારણે ઉત્તર કોરિયાએ આમાંના ઘણા ઓછા કેસોને કોરોના કેસ હોવાની પુષ્ટિ કરી છે. પરંતુ તે જ સમયે વિદેશી નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર કોરિયામાં તાવ ફેલાવવાનું કારણ કોરોના વાયરસ જ છે