વલસાડ જિલ્લામાં આ વર્ષે મેધરાજાએ ભારે કહેર વરસાવ્યો છે. અત્યાર સુધીમાં સિઝનનો કુલ 124 ટકા વરસાદ થયો છે. તો વલસાડ વાસીઓ પણ ભારે વરસાદથી હેરાન પરેશાન થઇ ચુક્યા છે. ચોમાસું વિદાય લેવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અનરાધાર વરસાદે વલસાડને ફરી એકવાર ઘમરોળ્યું છે. કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 173 ટકા વરસાદ ભલે થયો હોય પણ સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે.
ચોમાસાની ઋતુના છેલ્લા માસ સપ્ટેમ્બરમાં પણ મેઘરાજાનો આક્રમક મિજાજ જારી રહ્યો છે. જિલ્લામાં રાત્રિથી જ મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકામાં નોધાયેલો વરસાદ
- ઉમરગામમાં 6.04 ઈંચ વરસાદ
- ધરમપુરમાં 3.4 ઈંચ વરસાદ
- પારડીમાં 5.8 ઈંચ વરસાદ
- કપરાડામાં 4.72 ઈંચ વરસાદ
- વાપીમાં 4.95 ઈંચ વરસાદ
- વલસાડમાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ નોંધાયો
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર
ભારે વરસાદથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકાર થઇ ગયા હતા. વલસાડમાં 6.6 ઇંચ વરસાદથી શહેરના તિથલ રોડ,શાકભાજી માર્કેટ વિસ્તાર, મુખ્યમાર્ગો પર પાણી પાણી થઇ ગયા હતા. ઉપરવાસના ધરમપુર તાલુકામાં 3.4 ઇંચ વરસાદ વરસતા ઔરંગાનદી બંન્ને કાંઠે વહી હતી. વલસાડમાં ભારે વરસાદના પગલે જલારામ મંદિર રોડ પર આવેલી કલેકટર કચેરીના પરિસરમાં પાણીનો ભરાવો થઇ ગયો છે. જ્યારે શાકભાજી માર્કેટની વરસાદી ગટરમાં પાણીનો ઓવરફ્લો થતાં શાક માર્કેટમાં પાણી ભરાઈ ગયા છે. ગ્રાહકો, દૂકાનદારો, પાથરણાવાળાઓ મુશ્કેલીમાં મૂકાયા છે. વલસાડ જિલ્લાનું સંચાલન કરનારી ખુદ કલેક્ટર કચેરી પરિસરમાં પાણીનો ભરાવો થતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતાં. નાનકવાડા ગામના વિસ્તારો, દેવ એવન્યુ, શાંતિવન સોસાયટીમાં ભરાયા પાણી છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
કાર પાણીમાં ખાબકી
વલસાડ જીલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે વહેલી સવારે કારમાં પાણીમાં ખાબકી હતી. જો કે આ ઘટનામાં કારમાં બેઠેલી બે મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. વલસાડના નનકવાડા વિસ્તારમાં રહેતી બે મહિલાઓ પોતાની કારમાં જીમ જઈ રહી હતી. મોડી રાત્રે થયેલ વરસાદનું પાણી રસ્તા પર ભર્યું હતું . પાણીમાંથી કાર ચલાવતા બેલેન્સ બગડ્યું અને કાર રોડની સાઈડમાં ખેચાઇ પાણીમાં ખાબકી હતી. જો કે કારમાં સવાર બંને મહિલાઓને બચાવી લેવાઈ હતી.
શાળા કોલેજ બંધ
અત્રે નોધનીય છે કે વલસાડમાં ભારે વરસાદને કારણે શાળા કોલેજો બંધની જાહેરાત કરવામાં આવી છે. તમામ શૈક્ષિણક કાર્ય આજરોજ શનિવારના દિવસે બંધ રાખવા માટે જિલ્લા કલેકટર દ્વારા સુચના આપવામાં આવી છે. જીલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા અપાઇ છે જીલ્લામાં ભારે વરસાદની આગાહીને લઇ કલેકટરે રજા આપી છે. શાળા, કોલેજ સાથે આઈટીઆઈ પણ બંધ રહેશે. જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરીને માહિતી આપી હતી.